- મહિલા પાઈલટ આરોહી પંડિતે આજે ઐતહાસિક ઉડાનનું કર્યું પુનરાવર્તન
- વર્ષ 1932માં કરાચીથી મુંબઈ સુધી જે.આર.ડી. તાતાએ ભારતની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટનું કર્યું હતું ઉડાન
- આજે 89 વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિતે ઉડાવી ફ્લાઇટ
કચ્છઃ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિતે 89 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જે.આર.ડી તાતા 15 ઓક્ટોબર 1932ના દિવસે કરાચીથી મુંબઈ સુધી મેઈલ લઈને તાતા એર સર્વિસની પ્રથમ ફ્લાઈટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટમાં સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું.
વીરાંગનાઓએ યુદ્ધ દરમિયાન તૈયાર કરેલા રન-વે પરથી ભરી ઉડાન
ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે કચ્છના માધાપર ગામની મહિલાઓએ ભારતીય સેનાને મદદ કરી હતી. આ વીરાંગનાઓએ માત્ર 72 કલાકમાં જ રન-વેનું પુનઃનિર્માણ કર્યું હતું. ત્યારે આરોહી પંડિતે આ વીરાંગનાઓ સાથે મુલાકાત કરી હતી. અને આ વીરાંગનાઓએ તૈયાર કરેલા રન-વે પરથી જ તેણે ઉડાન ભરી હતી. આરોહી પંડિત અમદાવાદમાં આવી વિમાનમાં ઈંધણ ભરાવશે. ત્યારબાદ મુંબઈમાં જૂહુમાં આવેલા ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.
આ પણ વાંચો- ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી, માતાજીએ આપ્યા પરચા
આરોહીના હસ્તે વીરાંગનાઓનું સન્માન કરાયું
આરોહીના હસ્તે આજે માધાપરની વીરાંગનાઓનું પણ સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વીરાંગનાઓએ જ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ વખતે ભારતીય સેનાને મદદ કરી હતી. તે યુદ્ધ વખતે રન-વેને નુકસાન પહોંચ્યું હતું. તો આ વીરાંગનાઓએ માત્ર 72 કલાકની અંદર જ આ રન-વેનું પુનઃનિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો- પાદરાના રણું ગામે ઐતિહાસિક તુલજા ભવાની મંદિરમાં ભક્તોની ભીડ જામી
વર્ષ 2019માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી
ઉલ્લેખનીય છે કે, 2019માં બોરીવલીની યુવા વુમન આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. આ ફ્લાઈટમાં આરોહી પંડિત સિવાય અન્ય કોઈ સભ્ય નહતા. તો આરોહી પંડિત વર્ષ 1932ની ઐતિહાસિક ફ્લાઈટની ઘટનાને ફરી તાજી કરવા પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.
89 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરાયું
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જે.આર.ડી તાતાએ ટાટા એર સર્વિસની પ્રથમ વ્યવસાયિક ફલાઈટ 15 ઓક્ટોબર 1932માં કરાચીથી જૂહુ સુધીની ઉડાવી હતી, જેથી આજના દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 89 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરી ઈતિહાસ રચવામાં આવ્યો હતો.
GPS કે અન્ય કોઈ ટેક્નોલોજીના ઉપયોગ વગર માત્ર રોડમેપથી જ ફલાઈટનું સંચાલન
ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ફ્લાઈટમાં આરોહી પંડિત આશરે 500 નોટિકલ માઈલનું અંતર કાપવા આશરે 5 કલાકના ઉડ્ડયન માટે 60 લિટર પેટ્રોલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આરોહી પંડિત કોઈ GPS, ઓટો પાઈલટ કે કમ્પ્યુટર આધારિત સાધનોનો પણ ઉપયોગ નહીં કરે.
હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું કે આ ઐતહાસિક ઘટનાનું પુનરાવર્તન મને કરવાની તક મળી છે: આરોહી પંડિત
આ ઐતિહાસિક ઘટનાને પૂનરાવર્તિત કરવા જતા આરોહી પંડિતે જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે, વર્ષ 1932માં જે ઉડાન જે.આર.ડી. ટાટાએ કરાચીથી જૂહુ ભરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવા આજે હું આ ઉડાન ભરીશ. ભૂજથી આ ઉડાન શરૂ થશે અને અમદાવાદ ખાતે ઈંધણ ભરવા લેન્ડ કરવામાં આવશે અને ત્યારબાદ ફાઈનલ સ્ટોપ જૂહુ ખાતે થશે. વર્ષ 1971ના યુદ્ધમાં આપણા દેશના એર ફોર્સને માધાપરની વીરાંગનાઓએ રન-વે બનાવવા સારી મહેનત કરી હતી અને તેઓ પણ શ્રદ્ધાંજલિ આપવા આ ઈવેન્ટમાં જોડાયા છે. ઈન્ડિયન વુમન પાયલટ એસોસિએશન (IWPA) અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ એર ટ્રીપને લઈને ભારે ઉત્સાહ છે. મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે. આ પ્રવાસમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વગર રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે.