રતનાલ-ધાણેટી-નાડાપા-હબાયના રૂ.5 કરોડના ખર્ચે બનેલાં મેજર બ્રીજનું લોકાર્પણ કરતાં વાસણભાઈ આહીરે કહ્યું હતું કે, ભુજોડી ઓવરબ્રીજનું કામ હવે તાત્કાલિક પૂર્ણ કરવા માટે કચ્છના ચારેય ધારાસભ્યો દ્વારા નીતિનભાઈ પટેલને મળીને રજૂઆત કરાતાં એ કામ હવે આવનારા આઠ માસમાં ઝડપભેર પૂર્ણ કરાશે. તેમજ લોકાર્પણ કરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જયારે ભચાઉ ઓવરબ્રીજ માટે નાની-મોટી અડચણો, ખેડૂતોના મુદ્દાઓ ઝડપથી પૂર્ણ કરી ઓવરબ્રીજનું કામ પણ ચાલુ થઈ જાય તે દિશામાં કચ્છના લોકપ્રતિનિધિઓ સક્રિય હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કચ્છમાં જ્યાં-જ્યાં નર્મદા કેનાલ કરવાની છે, એ માટે બજેટમાં ચાલુ વર્ષે 809 કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે. તો કચ્છના ખેડૂતોએ સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરી છે તેઓને ઝડપથી સબસીડી પણ ચુકવવામાં આવશે. ધાણેટી-નાડાપા રોડના કામ સંદર્ભે સ્થાનિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રના અનુસંધાને નવી ટેકનોલોજી સાથે 8 કી.મી.નાં આ રસ્તાનું આરસીસી કામ હાથ ધરવા અને સરસપર-કુનરીયા માર્ગના જોબ નંબર મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભુજોડી ઓવરબ્રીજનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં એસટી બસ પણ આ જ માર્ગ પર પલટી મારી જતા એક મહિલાનું મોત થયું હતું. હવે ફરી વાર ઓવરબ્રીજનું કામ પુરૂ કરવા સાથે લોકાપર્ણની તારીખ પણ નકકી થઈ હોવાનું જણાવાયું છે ત્યારે ફરી એકવાર કચ્છીજનો વાયદાનો શિકાર થશે કે કામ પુરૂ થશે તે સમય જ કહેશે.