જૂનાગઢ: ચાર તબક્કાના લોકડાઉન બાદ આજથી પ્રથમ તબક્કાનું અનલોક-1 શરૂ થયું છે. જેમાં સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ ST વિભાગની બસો પણ કેટલાક રૂટો પર કાર્યરત થતી જોવા મળી હતી. આ સમય દરમિયાન બસમાં પ્રવાસ કરવા માટે આવેલા પ્રવાસીઓ દ્વારા સામાજિક અંતરનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામાન્ય બની રહ્યાં હતા.
પ્રથમ તબક્કાના અનલોકમાં રાજ્ય સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જેમાં છેલ્લા 70 દિવસથી બંધ પડેલા એસ.ટીના કેટલાક રૂટો આજથી સમગ્ર રાજ્યમાં શરૂ થયા છે. જૂનાગઢ એસ.ટી ડેપોથી રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બસ વ્યવહાર શરૂ થતો જોવા મળી રહ્યો છે. આ સમયે બસમાં યાત્રા કરવા આવેલા પ્રવાસીઓ દ્વારા સામાજિક અંતરનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા.
રાજ્ય સરકારે 60% પ્રવાસીઓની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એસ.ટી બસો શરૂ કરી છે. લોકડાઉન પહેલા જૂનાગઢ એસ.ટી વિભાગ 23 કલાક સતત કાર્યરત જોવા મળતો હતો, અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની સાથે વિભાગની બસો સમગ્ર રાજ્યમાં આવન-જાવન કરતી હતી. પરંતુ આજથી કેટલાક મર્યાદિત અને ચોક્કસ રૂટો પર બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે એક ગામથી બીજે ગામ જવા માટે આવેલા પ્રવાસીઓ દ્વારા સામાજિક અંતરનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો બિલકુલ સામાન્ય બની રહ્યાં હતા. જે પ્રકારે લોકો સામાજિક અંતરનો ભંગ કરી રહ્યાં છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ લોકો કોરોના સંક્રમણને વધુ આગળ ફેલાવશે તો ,જે એસ.ટી બસો શરૂ થઈ છે, તેને લઈને પણ હવે પ્રશ્નો ઉભા થઇ શકે છે.