જૂનાગઢ: કર્ણાટકમાં આજે વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં પાછલા બે દસકા કરતા વધુ સમય પૂર્વે કોંગ્રેસને મળેલી ઐતિહાસિક જીત કરતા પણ ખૂબ જ ઉત્સાહજનક પરિણામો કર્ણાટકમાંથી કોંગ્રેસ માટે આવ્યા છે. આજે જાહેર થયેલા 224 વિધાનસભા બેઠકના પરિણામો માથી કોંગ્રેસના ઉમેદવારો 136 વિધાનસભા બેઠક પર જીતવામાં સફળ રહ્યા છે જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે પરંતુ જુનાગઢ કોંગ્રેસના પાયાના કાર્યકરો દ્વારા કર્ણાટક વિજયની વિશેષ અને અલગ પ્રકારે ઉજવણી કરીને કર્ણાટક વિજયને મનાવ્યો હતો.
'ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ બલીના નામનો ઉપયોગ જે રીતે ભાજપે કર્યો હતો. તેના વિરુદ્ધમાં કોંગ્રેસ ધર્મની રાજનીતિ કરવાની જગ્યા પર હકારાત્મક પ્રચાર કરીને હનુમાનજીના આશીર્વાદ અમારા સર્વોચ્ચ નેતૃત્વ પર આજે પરિણામના રૂપમાં પ્રાપ્ત થયા છે. હનુમાનજીએ ભાજપને જે રીતે શનિવારના દિવસે પરિણામમાં પરચો બતાવ્યો છે તેની ઉજવણી હનુમાનજીના પ્રતીક વાનર સેના સાથે આજે કરવાની જે તક મળી છે તે સાચા અર્થમાં લોકશાહીનો વિજય અને એક દ્રષ્ટિએ જોઈએ તો ધર્મના વિજય સમાન પણ જોવા મળે છે.' -રાણાભાઇ રબારી, કોંગ્રેસના કાર્યકર
ગાય અને વાનરસેના સાથે કરી ઉજવણી: જૂનાગઢ કોંગ્રેસના પાયાના કાર્યકરો દ્વારા આજે ગાય અને વાનરસેના સાથે કર્ણાટક વિજય ઉત્સવને મનાવ્યો હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જે રીતે બજરંગ બલીના નામને લઈને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ ખેલાયુ હતું. ભાજપ અને કોંગ્રેસ બંને દાવાઓ કરી રહ્યા હતા કે બજરંગ બલી તેમને કર્ણાટકમાંથી વિજય અપાવશે. આજે પરિણામોના દિવસે બજરંગ બલીએ કોંગ્રેસને વિજયનો શ્રેયઅપાવ્યો છે. જેની ઉજવણી આજે કોંગ્રેસના પાયાના કાર્યકરો દ્વારા ગાય અને વાનર સેનાનું મોં મીઠું કરાવીને વિશેષ રીતે કરવામાં આવી હતી.