હાલ સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈને ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર પણ ગાંધીજીને અનોખી રીતે ૧૫૦મી જન્મ જયંતિના દિવસે યાદ કરી રહ્યાં છે. સ્વચ્છતા અને સાદાઈ માટે હર હંમેશ હિમાયતી રહેલા ગાંધીની વિચારધારાથી પ્રેરાઈને મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા સાયકલ ચલાવીને ગાંધીજીની સાદાઈને સમગ્ર વિશ્વના લોકો અપનાવે તેવી રાહ કંડારી છે.
હાલ સમગ્ર દેશ અને વિશ્વમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ગાંધી એક વ્યક્તિ એક વિચાર અને એક આંદોલન જેણે આફ્રિકાથી લઈને યુરોપ સુધીના દેશોને વિચારતા કરી મુક્યા હતા. ગાંધી વિચાર આજે પણ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. છેલ્લા 100 વર્ષથી ગાંધી વિચારધારાને લઈને સૌ કોઈ તેમનું મૂલ્ય સમજી અને તેમને અનુસરવાનું કામ કરી રહ્યા છે. જેમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર પણ સામેલ થયા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ પણ ગાંધી આદર્શો અને ગાંધી વિચાર પર આગળ વધવાની સાથે 150મી જન્મજયંતીની ઉજવણી કરવાની દિશામાં એક કદમ આગળ વધાર્યું છે. સ્વચ્છતા માટે સમગ્ર વિશ્વમાં આજે પણ ગાંધીનો જોટો જડે તેમ નથી. ગાંધી માત્ર સ્વચ્છતા માટે જ નહીં સ્વરાજ અને પોતાના કામો પોતાની જાતે પૂર્ણ કરવા તેને લઈને ગાંધી આજે પણ એક રોલ મોડલ બની રહ્યા છે. ગાંધીજી તેમના સમયમાં મોટા ભાગના કામો અનિવાર્ય સંજોગોને બાદ કરતા પગપાળા ચાલીને જ કરતા હતા. જ્યારે દેશ ગુલામ હતો, ત્યારે વાહન વ્યવહારની ખૂબ મર્યાદિત સગવડ હતી, પરંતુ ગાંધીજીને જે તે સમયે વાહન વ્યવહાર માટે કોઈ મુશ્કેલી પડે તેવા પ્રસંગો ભાગ્યે જ બન્યા હશે.
ગાંધીજીની આજ પ્રેરણાથી પ્રેરાઈને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરે પણ સાયકલ ચલાવીને શક્ય હોય ત્યાં સાયકલ પર જવું તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આધુનિક સમયમાં કામનું ભારણ અને ખુબ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે સાઇકલ અનુકૂળ માધ્યમ નથી, પરંતુ રજાના દિવસોમાં જ્યાં સમયની કોઈ પાબંદી નથી. તેવા સ્થળો પર સાયકલ પર જઈને ગાંધીજીની સાદાઈની સાથે સ્વચ્છતા પણ જરૂરી બને તે માટે પ્રયાસો કરીને ગાંધીજીની 150મી જન્મ જયંતી ઊજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, ત્યારે ગાંધીજીની સાદાઈમાં પ્રદૂષણની પીડામાંથી સમગ્ર વિશ્વને મુક્ત કરી શકે તેવી શક્તિ છે કમિશ્નર તુષાર સુમેરાએ ગાંધીની આ સાદાઈ દરેક લોકો અપનાવી અને પ્રદૂષણની પીડામાંથી મુક્ત બનીને સાચા અર્થમાં ગાંધીને જન્મ જયંતીની અમૂલ્ય ભેટ આપી શકે તે માટે સૌ કોઈને આગળ આવવા વિનંતી કરી હતી.