જામનગર : પ્રખર ભજનિકનું આજે લક્ષ્મણ બારોટ નિધન થયું છે. લક્ષ્મણ બારોટને નાનપણથી જ માતાજી નીકળ્યા હોવાને લીધે આંખો ગુમાવવી પડી હતી. પરંતુ આ આંખોની શક્તિ સૂરમાં સમાઈ ગઈ હોય તેમ લક્ષ્મણ બારોટે સંગીત અને ગાયનની દુનિયામાં પોતાનું આગવી ઓળખ બનાવી હતી. 12 વર્ષની ઉંમરથી લક્ષ્મણ બારોટે ભજન ગાવાની શરૂઆત કરી હતી. હાલ પણ તેઓ ગુજરાતના પ્રથમ કક્ષાના સંત ભજનિક તરીકે નામના ધરાવે છે.
લક્ષ્મણ બારોટનું નિધન : 70 વર્ષની ઉંમરે લક્ષ્મણ બારોટે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. ત્યારે જામનગરથી ભરૂચ આશ્રમ ખાતે પાર્થીવ મૃતદેહ લઈ જવામાં આવશે. આશ્રમ ખાતે આવતીકાલે તેઓની અંતિમવિધિ કરવામાં આવશે. લાંબા સમયથી તેઓને શ્વાસની તકલીફ હતી. જેના લીધે જામનગરની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. જેના કારણે પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓના પરિવારમાં એક દીકરો અને ચાર દિકરીનો સમાવેશ થાય છે.
ભજન સમ્રાટ : લક્ષ્મણ બારોટના નામે અનેક રેકોર્ડ પણ છે. આ ઉપરાંત નારાયણ સ્વામી સાથે સૌથી વધુ લાઈવ પ્રોગ્રામમાં જુગલબંધી પણ તેઓએ કરી હતી. 1994 થી ભવનાથ તળેટી ખાતે તેઓ ઉતારો કરે છે. જે લક્ષ્મણ બારોટનો ઉતારો તરીકે ઓળખાય છે. જેમાં આજ સુધી ભજન અને ભોજન કરીને લોકોએ આનંદ માણ્યો છે. હાલમાં પણ તેમના ચાહક વર્ગમાં મોટા ભાગે યુવાન છે. એમ કહી શકાય કે લક્ષ્મણ બારોટના ભજનમાં આવનાર લોકોમાં 80 ટકાથી વધુ યુવાનો હોય છે. લક્ષ્મણ બારોટને એક આદર્શ સમાજ સેવક કહી શકાય કારણ કે, તેમણે યુવાનોને ભજનમાં રસ પેદા કર્યો છે. હાલમાં તેઓ કૃષ્ણપરી, રાજપારડી અને ભરુચ ખાતે આશ્રમ ધરાવે છે.