જામનગરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. હાલ જામનગર જિલ્લાના 6 તાલુકામાં પાક નુકસાનના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજ્યના કૃષિ પ્રધાનના વિસ્તારના ખેડૂતો જ લાચાર બન્યા છે. ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે ETV BHARATની ટીમ મોડપર મતવા ગામે પહોંચી હતી.
![jamnagar Farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-khedut-mang-7202728-mansukh_07092020144058_0709f_01334_446.jpg)
જામનગર જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ અને તલનું વાવેતર કરવામાં આવ્યું છે. જો કે, ખેડૂતો આ પાક નુકસાનીના સર્વેની કામગીરી સામે સવાલ કરી રહ્યા છે. જે એજન્સી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, તેના કર્મચારીઓ બિન અનુભવી અને ખેતી વિશે પૂરતુ જ્ઞાન ધરાવતા નથી.
રાજ્ય સરકાર 33 ટકા કે તેથી વધું નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ વળતર આપશે તેવી જાહેરાત કરી છે. મગફળીમાં સુકારો, ફૂગ જેવા રોગો છે, તો કપાસમાં લીલી ઈયળનો ત્રાસ છે. મોડપર મતવા ગામના ખેડૂતો માગ કરી રહ્યા છે કે, જામનગર જિલ્લામાં ખેડૂતોને 100 ટકા વળતર આપવું જોઈએ.
![jamnagar Farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-khedut-mang-7202728-mansukh_07092020144103_0709f_01334_1059.jpg)
મોડપર મતવા ગામના ખેડૂતોએ ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર હાલ સર્વેની કામગીરી તો કરી રહી છે, પણ ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે જમા થશે તે અંગે શંકા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતો પાયમાલ થયા છે અને મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો તેઓ શિયાળુ પાકમાં રોકાણ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના કૃષિ પ્રધાન આર. સી. ફળદુનો મત વિસ્તારના ખેડૂતો જ સહાય માટે માગ કરી રહ્યા છે, તો અન્ય જિલ્લાના લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે તેમને સહાય મળશે કે ઠેન્ગો એ તો આવનારો સમય જ બતાવશે.