વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી પર ભાર મૂકી વર્ષો જૂના કેમિકલગ્રસ્ત ખેતરોને તેનાથી મુક્ત કરી ફરી મબલખ પાક મેળવવાની પહેલ થઈ રહી છે. ત્યારે કાલાવડ તાલુકાના સુમરી ગામના કિશોરભાઈ પેઢરીયા જે સજીવ ખેતીના પ્રયોગો અપનાવી આજે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી મગફળી, કપાસ, મકાઈ, બાજરી, મગ, મઠ, અડદ જેવા અનેક પાકો મેળવે છે. તેમજ સંપૂર્ણ ગુણવત્તાલક્ષી, આરોગ્યપ્રદ, રસાયણરહિત પાકો મેળવી વર્ષેમાં આશરે ત્રણ લાખની આવક મેળવે છે.
ડ્ર્રીપ ઈરીગેશન સિસ્ટમ, સજીવ ખેતી, મલ્ચીંગના પ્રયોગો કરી ખેતીમાં અનેરી સફળતા મેળવતા કિશોરભાઈ પેઢરીયા કહે છે કે, ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મેળવી, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવવું એ મારુ ધ્યેય છે. સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને, મારા પાકને કેમિકલથી મુક્ત રાખે છે. તેથી જ મારા પાક ખરીદનાર લોકોના વિશ્વાસને હું જાળવી શક્યો છું.
આ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા કિશોરભાઈ ખેતીની સતત નવી પદ્ધતિઓ, તેની નવી ટેકનિકથી લઈ તેના માટેની નવી ટેકનોલોજીનો સતત અભ્યાસ કરતા રહે છે. અને આત્માનો આભાર માનતા કહે છે કે, ખેડૂતો માટે આત્મા પ્રોજેક્ટ એ સરકારશ્રી દ્વારા મળતો સતત સહકાર અને સાથની ભાવના આપતો પ્રોજેક્ટ છે. ખેડૂતોના હિતની ચિંતા કરતા અને કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મેળવવા તરફની ઝુંબેશ ચલાવતા આ પ્રોજેક્ટ અને તેના કો-ઓર્ડીનેટરશ્રીનો ખેડૂતો તરફથી હું આભાર માનું છું.
હાલમાં કિશોરભાઈ આધુનિક ખેતીથી મગ, અડદ, વાલ, ચણા, તુવેર જેવા કઠોળ, ધાણા, મરચાં, રાઈ, મેથી જેવા મસાલા, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જેવા ધાન્ય અને મગફળી, તલ જેવા તેલીબીયાનો તેમજ શેરડી, અન્ય શાકભાજીનો સફળ અને મબલખ પાક લે છે. સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા કિશોરભાઈએ દાડમ, કેળા, જાંબુ, રાવણા, સીતાફળ, જામફળ, ડ્રેગન ફ્રુટ, પેસી ફ્રુટ, શેતૂર, અંજીર જેવા ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો મેળવવાની કામગીરી પણ હાલ ચાલુ કરી દીધી છે. તે ઉપરાંત અન્ય ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી અને તેમાં પણ સફળ પરિણામ મેળવવાના પ્રયાસો કાર્યરત કરી દીધા છે.