આરોપી સંજયે કાર ખરીદી હતી. જેના રૂપિયા 4 લાખ ચૂકવવાના બાકી હતા. દરમિયાન મૃતક મંજુબેન આરોપીની દુકાન પર સોડા પીવા ગયા હતા અને તેમણે ઘરેણાં પહેરેલા હોઈ તેમનું અપહરણ કરીને ઘરેણાં ચોરી કરવાનો આરોપીને વિચાર આવ્યાનું તેણે પોલીસ કબૂલાતમાં જણાવ્યું હતું. મૃતકની ઉંમર 55 વર્ષની હતી અને પગનો દુખાવો રહેતો હતો. જેથી તેમને વૈદ પાસે લઈ જવાનું કહી આરોપી તેને પોતાની સાથે કારમાં લઈ ગયો હતો.
દરિયા કિનારે જઈ આરોપી સંજયે ઓશીકાથી શ્વાસ રુંધીને મંજુબેનની હત્યા કરી મૃતદેહ સોમનાથ બાયપાસ નજીક ફેંકી દીધો હતો. તેમણે પહેરેલાં અંદાજે દસ તોલાના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. અને કારના રૂપિયા ચૂકવી બીજા દાગીના અન્ય સોનીને ત્યાં આપી રૂપિયા 18 હજાર મેળવ્યા હતા.
ગીરસોમનાથના નાયબ પોલીસ અધિક્ષક જી.બી. બાંભણીયાના જણાવ્યા મુજબ મૃતક મંજુબેનના પુત્રએ ફરીયાદ લખાવી હતી. જેમાં તેમના માતા શાકભાજી લેવા ગયા બાદ ઘરે પરત આવ્યા નહોતા. પોલીસે તપાસ કરતાં મંજુબેનનો મૃતદેહ સોમનાથ બાયપાસ નજીકથી કોથળામાંથી મળી આવ્યો હતો અને તેમણે પહેરેલાં ઘરેણાં પણ ગુમ હતાં. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.