ગીર સોમનાથઃ વૈશ્વિક મહામારી કોરોનાની હજુ સુધી કોઈ નક્કર વેકસીન શોધાઈ નથી ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન W.H.O અનુસાર લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે એ વાતને અપવનાવાનું શરુ થઈ ગયું છે. કોરોના સામે આપણું સૌથી અસરકારક હથિયાર સોશિઅલ ડિસ્ટનસિંગ છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લાના આદ્રી ગામે સોશિઅલ ડિસ્ટનસિંગ માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગામમાં છત્રીને ફરજિયાત કરાઈ છે.
કારણમાં એટલું કે 4 ફૂટ જેટલો વ્યાસ ધરાવતી છત્રીઓ જ્યારે માથાં ઉપર હોય ત્યારે નજીક ન આવવાથી અડકવાથી લોકો સોશિઅલ ડિસ્ટન્સ જાળવી શકે. સરકાર દ્વારા લૉક ડાઉનના પહેલાં દિવસથી જ સોશિઅલ ડિસ્ટનસિંગ એટલે કે સામાજિક અંતર જાળવવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યાં છે. તેને લઇને ગીરસોમનાથના આદ્રી ગામે છત્રી ફરજિયાત કરી છે. લોકોએ છત્રીઓ વસાવી અને રોજબરોજની ખરીદીમાં છત્રી સાથે લઈને જવાની આદત બનાવી છે. છત્રીઓનો વ્યાસ અંદાજે 3 થી 4 ફૂટ હોય છે ત્યારે એકબીજાથી લોકો ફરજિયાતપણે 3 થી 4 ફૂટ દૂર જ ઉભાં રહે છે જેથી કોઈપણ પ્રકારનો શારીરિક સંપર્ક થતો નથી જેથી લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઘટે છે.
આદ્રી ગામના યુવાન સરપંચની આ પહેલને આખા ગામે વધાવી છે. ગામના યુવાન સરપંચે કોરોનાને કારણે સામાજિક અંતરને વધુ સચોટ રીતે અમલ કરાવવા ગામના લોકો સાથે મળી છત્રી ફરજિયાત કરવાનો નિયમ અમલમાં મૂક્યો છે. સરપંચની છત્રી પહેલને ગામના રહેવાસીઓનો સાથ મળ્યો છે તે સરસ વાત છે. બીજા ગામો પણ આદ્રીની જેમ કોરોનાની અસર સાથે જનજીવન પૂર્વવત કરવા આ પ્રકારના રસ્તાઓ શોધે તે જરૂરી બન્યું છે.