- કોરોના મહામારી નિવારણ અને વિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ મહાદેવ મંદિરે થશે પૂજન
- પાંચ દિવસીય અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞ થશે
- 27 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનો પ્રારંભ થશે
- ત્યારબાદ સતત 5 દિવસ 120 કલાક સુધી યજ્ઞ ચાલશે
ગીર સોમનાથ: વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર સામે લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે તો દેશ પણ મહામારી સામે અડગ બની દિવસ-રાત ઝઝૂમી રહ્યો છે. આ મહામારીમાંથી દેશ અને લોકો સલામત રીતે ઉભરીને બહાર આવે તે માટે દેશભરમાં પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે. એવા સમયે અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજાનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: આજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ
5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહા મૃત્યુંજય જપ-યજ્ઞ
આ અંગે મંદિર ટ્રસ્ટના જી.એમ. વિજયસિંહ ચાવડાએ જણાવેલું કે, હાલ સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે બંધ છે, પરંતુ પૂજારીઓ દ્રારા મહાદેવની નિત્યક્રમની મહાપૂજા-આરતી નિરંતર થઇ રહી છે. ત્યારે વૈશ્વિક કોરોનાના મહામારીના નિવારણ અર્થે તથા વિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ મંદિરમાં યજ્ઞશાળામાં 5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહા મૃત્યુંજય જપ-યજ્ઞ કરવાનું નક્કી કરાયું છે.
24 કલાક મહા મૃત્યુંજયના મંત્ર-જપ સાથે યજ્ઞ કરવામાં આવશે
આવતી કાલે 27 એપ્રિલે હનુમાન જયંતિના દિવસથી આ યજ્ઞનો પ્રારંભ થશે અને સળંગ 5 દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં 24 કલાક મહા મૃત્યુંજયના મંત્ર-જપ સાથે યજ્ઞ કરવામાં આવશે. 5 દિવસના યજ્ઞમાં સવાલક્ષ મહા મૃત્યુંજય જપ-યજ્ઞનું અનુષ્ઠાન પણ કરવામાં આવશે. ભાવિકો પણ ઘરે બેઠા મહા મૃત્યુંજયના જપ કરી આ ભગવત્ કાર્યમાં જોડાઈ શકશે.
આ પણ વાંચો: આગામી દિવસોમાં સોમનાથ પરિક્ષેત્રમાં પુરાતન વિભાગ દ્વારા શોધ સંશોધનને વડાપ્રધાન મોદીની મંજૂરી
યુ-ટ્યુબ પેઇજ પરથી ઘરે બેઠા જોઈ શકાશે
5 દિવસના યજ્ઞની ક્લિપો ટ્રસ્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેમજ આવતી કાલે હનુમાન જન્મોત્સવ નિમિતે સાંજના 4 વાગ્યે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવેલું છે. સુંદરકાંડ પાઠમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ઓફિશિયલ સોશિયલ મીડિયાના ફેસબુક, યુ-ટ્યુબ પેઇજ પરથી જોડાઈ શકશો.