એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહારાષ્ટ્રના મુંબઈને સિંહોની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણીઓ અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રેની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોનની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્ય પ્રાણીઓ આપશે.
રાજકોટના જિયો લોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા MC જિયો લોજિકલ પાર્કને સિંહની એક જોડી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અપાશે. પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયો લોજિકલ પાર્કને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુનની એક જોડી, રોઝ રીંગ પેરાકીટની ત્રણ જોડી, કોમ્બ ડક બ2 જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની 2 જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.