શિક્ષણ બોર્ડ ખાતે મળેલ પરીક્ષા કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 5 માર્ચના રોજ શરૂ થશે. આ બાબતે શિક્ષણ સમિતિના સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની તારીખ નક્કી કરવા માટે અને તમામ કેન્દ્રો અંગેની મહત્વની કામગીરી માટે આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 માર્ચના રોજ યોજવાની હતી, ત્યારબાદ 11મી જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સભ્યોની સર્વ સંમતિથી 5 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે, જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 17 માર્ચના રોજ પૂરી થશે.
જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ આજે મળેલી બેઠકમાં કુલ ધોરણ 10 સામાન્ય પ્રવાહ માટે 6 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 નવા કેન્દ્ર મૂકવામાં આવ્યા છે. એટલે હવે જે સ્કૂલમાં ગેરરીતિઓ થઈ છે, તેવી 6 સ્કૂલોને પણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો, આ વર્ષે 75 હજારથી વધુ વિદ્યાર્થીઓની ઘટ સામે આવી છે. એટલે કે, એક વર્ષની અંદર 75 હજારથી વધુ વિદ્યાર્થીઓનો આંકડો ડ્રોપ આઉટમાં વધ્યો છે.