ગાંધીનગર: રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે યોજાયેલી બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે કલાક સુધી બેઠક કરવામાં આવી હતી. જેમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર હંમેશા કોઈપણ સમાજને નુકસાન ન થાય તે માટે કટિબદ્ધ હોય છે. જ્યારે આજની બેઠક રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચના પ્રમાણે જ યોજવામાં આવી હતી. હવે આજની બેઠક યોજાયા બાદ જે પણ નિર્ણય કરવામાં આવશે. તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે. ત્યારે આ બેઠકની તમામ માહિતી શુક્રવારના રોજ જો મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમય ફાળવશે તો બેઠક કરવામાં આવશે. ત્યારબાદ રૂપાણીના નેતૃત્વ હેઠળ નિર્ણય લેવામાં આવશે.
સમાજની બેઠક 2 કલાક સુધી ચાલી હતી. બેઠક પૂર્ણ થતાની સાથે જ પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણીયા જણાવ્યું હતું કે, સરકાર સાથે 2 કલાક બેઠક યોજવામાં આવી છે. સત્તાવાર રીતે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. અને કોઈ પણ સમાજને નુકસાન ન થાય તે બાબતની ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. આજની ચર્ચા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બેઠકનો રિપોર્ટ સોંપીને નિર્ણય કરશે. પરંતુ જ્યાં સુધી સરકારે કોઈ નિર્ણય નહીં કરે ત્યાં સુધી આંદોલન ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે યથાવત જ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાનના અધિક સચિવ કૈલાશનાથ, ગૃહસચિવ સંગીતા સિંધ અને સવર્ણ સમાજના આગેવાનો દિનેશ બામણીયા, પુથ્વી પટેલ ,કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત તથા સવર્ણ સમાજની મહિલા ઉમેદવારો હાજર રહ્યંા હતા.