ગાંધીનગરઃ કોરોના વાઇરસને અટકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા રવિવાર સવારે 7થી રાત્રીના 9 વાગ્યા સુધી કરફ્યૂની અપીલ કરવામાં આવી હતી, ત્યારે 24 કલાક ભાગદોડ કરતું રાજકીય પાટનગર ગાંધીનગરમાં આ કરફ્યૂને સમર્થન મળ્યું છે.
પાટનગરમાં તમામ ચાર રસ્તા ઉપર લોકોનો સામાન્ય દિવસોમાં જમાવડો જોવા મળતો હોય છે, તે ઉપરાંત સચિવાલય અને કલેક્ટર કચેરીમાં અસંખ્ય લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે. લારી ગલ્લા ઉપર ચાની ચૂસકી વાળાઓની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે જનતા કરફ્યૂને લઈને એક પણ રાજ્યનો શિક્ષિત નાગરિકો આજે બહાર ફરતા જોવા મળતા નથી.
ગાંધીનગર ST બસ સ્ટેન્ડના ઈન્ચાર્જ ડેપો મેનેજર હાર્દિક રાવલે કહ્યું કે, રવિવારે એસટીની 600 ટ્રીપ અને 30 હજાર કિલોમીટર ફરતી બસને વિરામ આપવામાં આવ્યો છે, તેની સાથે અમારા તમામ કર્મચારીઓને પણ રજા આપવામાં આવી છે. બીજી તરફ પાટનગરના નાગરિકો પોતાના મકાનમાં જ પુરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. એટલે એક પ્રકારે કહી શકીએ કે સતત સરકારના નિયમોનું પાલન નહીં કરતી ગાંધીનગરની શિક્ષિત પ્રજા આજે પહેલીવાર વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને સમર્થન આપી રહીં છે અને સ્વયંભુ બંધ પાડી રહી છે. પાટનગરના રોડ-રસ્તાઓ પણ સુમસાન જોવા મળી રહ્યા છે.