સાબરમતી નદીને કિનારે દોલારાણા વાસણા ગામની સીમમાં ગઇકાલ રવિવારે સવારે દીપડાએ પાડાનું મારણ કર્યું હતું. જે બાદ દીપડાના પગના નિશાન પ્રમાણે વન વિભાગની ટીમે દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવ્યા હતા. સોમવારે વહેલી આખરે આદમખોર દીપડાને પકડી લેવાયો હતો.
ગાંધીનગર તાલુકામાં આવેલા નદીકિનારા વિસ્તારના ગામોમાં છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. અનેક પશુઓના મારણ કરતા પશુપાલકો પરેશાન હતાં. દિપડો ગમે ત્યારે આવતો હોવાથી ગ્રામજનો ભયભીત રહેતા હતા. રવિવારે વહેલી સવારે દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામાં દીપડો ત્રાટક્યો હતો. ગામના છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં ભેસના બચ્ચાનું મારણ કર્યું હતું હતું. પાડું એકાએક ભાભરવા લાગતા આજુબાજુના લોકો જાગી ગયા હતા. ગ્રામજનો પહોંચે એ પહેલાં જ દીપડો પલાયન થઇ ગયો હતો. ગામ લોકોએ વહેલી સવારે ખેતરમાં જતા પહેલા તેમના ખેતરમાં પડેલા દીપડાના પંજા પણ જોયા હતા.
બાપુપુરા ગામમાં દીપડો આવ્યો હોવાની જાણ વન વિભાગની ટીમને મળતા તેમના દ્વારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ફોરેસ્ટર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે, આજે સવારે 9 થી 10 વર્ષનો દીપડો પકડાયો છે. દિપડાએ પીંડારડા સહિતના વિસ્તારમાં પશુઓના મારણ કર્યા હતા. બાપુપુરા ગામમાં દીપડાએ જે પાડાનું મારણ કર્યું હતું તે જ પાડાના માંસને પાંજરામાં મુકવામાં આવ્યુ હતું. તે ખાવા જતા દિપડો પાંજરામાં પૂરાઈ ગયો હતો. છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો નદીકાંઠાના વિસ્તારોમાં આતંક મચાવી રહ્યો હતો. આખરે વન વિભાગની ટીમને સફળતા મળતા નદીકાંઠાના ગ્રામજનોમાં હાશકારો અનુભવ્યો છે.