ગાંધીનગર : એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ચોથી ટેસ્ટ મેચમાં હાજરી બન્ને વડાપ્રધાને હાજરી આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી સીધા રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચીને પીએમ મોદીએ રાજકીય ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતની રાજનીતિમાં નવા જુનાના એંધાણ આપ્યા છે.
વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક : ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર ભાજપની હંમેશા જીત જોવા મળે છે. ત્યારે માર્ચ એપ્રિલ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવી ન પડે તે માટેનું વિશેષ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જ્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં ગુજરાતમાં ક્યાં મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ કરી શકાય તે બાબતનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણીને લઇને થઇ ચર્ચા : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે 20 જુલાઈ 2020ના રોજ નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગુજરાત અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે 3 વર્ષની સમયમર્યાદા હોય છે જે હવે ટુંક સમયમાં પૂર્ણ થવા જઇ રહી છે. હવે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની પણ ચર્ચાઓ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલ મોદીના વિશ્વાસુ ગણવામાં આવે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપે 156 બેઠક જીતીને ઇતિહાસ રચ્યો છે. હવે જુલાઈ માસમાં પૂર્ણ થતી ટર્મને વધારવામાં આવે અને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં તેવી શકયતાઓ છે.
રાજનિતીમાં થઇ શકે છે નવા જૂનીના એંધાણ : વિધાનસભાની ચૂંટણી પહેલા દસ જેટલા બોર્ડ નિગમમાં ભાજપ પક્ષે ચેરમેનના રાજીનામા લીધા હતા. આવનારા દિવસોમાં રાજ્ય સરકારના બોર્ડ અને નિગમમાં ભરતી બાબતની પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખની એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકારના અનેક બોર્ડની ગામોમાં જગ્યા ખાલી પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી મંડળનું થઇ શકે છે વિસ્તરણ : રાજ્યમાં જ્યારથી ભુપેન્દ્ર પટેલની સરકાર બની છે, ત્યારથી પ્રધાન મંડળ વિસ્તરણની વાતો ચાલી રહી છે. કમુરતા બાદ ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ થશે તેવી વાતો અનેક વખત ચર્ચામાં આવી છે. આજે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજતા મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થઈ છે. જો કદાચ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તો ત્રણ નવા પ્રધાનોને સ્થાન આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
ગુજરાતના વિકાસના પ્રોજેક્ટ પર કરી ચર્ચા: રાજકીય આગેવાનો સાથે બેઠક થયા બાદ પીએમ મોદીએ ગુજરાતના સનદી અધિકારીઓની સાથે બેઠક યોજી હતી, જેમાં વર્ષ 2024 પહેલા અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ, ધોલેરા સર પ્રોજેક્ટ, હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદી સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, GAD ના મુખ્ય સચિવ એ.કે. રાકેશ, પ્રવાસન વિભાગના મુખ્ય સચિવ હરિત શુક્લા પણ રાજભવન પહોંચ્યા હતા. બાદમાં 2 કલાકથી વધુ બેઠકનો દોર ચાલ્યો હતો. આમ ગુજરાત સરકારના આગામી પ્રોજેક્ટ બાબતે ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.