રાજ્યના મોટા શહેરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફલાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફલાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી ર૭૦ કરોડ રૂપિયાની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે ર૭ કરોડ રૂપિયા ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્ય સરકારના ર૦૧૯-ર૦ના આ વર્ષના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફલાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું, તદ્દઅનુસાર, અમદાવાદ મહાનગરમાં ર૦ ફલાય ઓવરમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૭ ફલાય ઓવર, સુરત મહાનગરમાં ૧૦ ફલાય ઓવર પૈકી ૮ ફ્લાય ઓવર, ઉપરાંત જામનગર અને ભાવનગર મહાનગર માં એક એક ફ્લાય ઓવરના નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ફલાય ઓવરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ, રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાથી માર્ગો પર ટ્રાફિકના વધતા ભારણની સમસ્યા હળવી કરવામાં ફલાય ઓવરને મંજૂરી આપી દેવામાં આવી છે.