ગાંધીનગર: વર્ષ 2017માં એક કથામાં વ્યાસપીઠ પરથી ગુજરાતના પ્રખ્યાત સંત અને કથાકાર મોરારીબાપુ ભગવાન શ્રીકૃષ્ણ વિશે અશોભનીય શબ્દો બોલ્યા હતા. જેને લઈને શ્રીકૃષ્ણના તમામ ભક્તો અને ગુજરાતીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. તેમજ તેમણે માગ કરી હતી કે, મોરારીબાપુએ ભગવાનની માફી માગવી જોઈએ. આથી મોરારીબાપુએ દ્વારકા મંદિરે પહોંચી ભગવાનની માફી માંગી હતી.
આ સાથે તેમણે શ્રી કૃષ્ણના વંશજ કહેવાતા એવા આહીર સમાજ તેમજ તમામ શ્રી કૃષ્ણના ભક્તોની પણ માફી માંગી હતી. આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. જેમાં ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના દ્વારકા મતવિસ્તારના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારીબાપુ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સાંસદ પૂનમ માડમ અને અન્ય એક વ્યક્તિ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.પરંતુ આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત અને ભારતમાં પડ્યા હતા.તેમજ તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ હુમલાને વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પબુભા માણેકને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકાથી નોમિનેશન ફોર્મ ભરવામાં રહી ગયેલી ત્રુટી સંદર્ભે, વિરોધપક્ષ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ચૂંટણી રદ કરવાની માંગને હાઈકોર્ટે બહાલી આપી હતી.જેના વિરુદ્ધ પભુબા માણેક દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.પરંતુ ત્યાંથી પણ તેઓ આ કેસ હારી જતા દ્વારકાની ચૂંટણી રદ કરવામાં આવી છે.પબુભા માણેકનું ધારાસભ્ય પદ છીનવાઈ ગયું છે.ત્યારે પ્રખ્યાત કથાકાર પર પબુભા માણેકના આ કૃત્યને ગુજરાતના સંત સમાજે વખોડી કાઢ્યો છે. આ હુમલાને તેમણે પભુબા માણેક દ્વારા લાઈમલાઈટમાં રહેવાનું એક ગતકડું ગણાવ્યું છે.