- ડાંગી પ્રજા માટે વાઘ બારસ અતિ મહત્વનો તહેવાર
- વર્ષમાં એકવાર ગામના છેવાડે આવેલા વાઘ દેવની મૂર્તિની પૂજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવે છે
- પ્રકૃતિ સાથે જોડાયેલા આદીવાસીઓ જંગલનાં પશુઓને રિઝવવા માટે વાઘ બારસની ઉજવણી કરે છે
- જંગલના પશુઓથી માનવી અને તેના પાલતું પ્રાણીઓનું રક્ષણ થાય તે માટે વાઘ બારસની ઉજવણી કરવામાં આવે છે
ડાંગઃ રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે. જંગલ જમીન સાથે જોડાયેલા આદિવાસીઓ આજેપણ પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પુજા કરે છે, જેનું ઉત્તમ ઉદાહરણ વાઘ બારસ છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે અને તેની પૂજા અર્ચના પણ કરતા હોય છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને વળગી રહેનારા આદિવાસી પ્રજાએ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે વાઘ બારસની ઉજવણી કરી હતી.
![પ્રકૃતિ પૂજક ડાંગ જિલ્લાના આદિવાસીઓએ હર્ષોલ્લાસ પૂર્વક વાઘ બારસની ઉજવણી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-vaghdev-sepci-avb-gj10029_12112020132445_1211f_1605167685_56.jpg)
વાઘ બારસ તહેવારની ઉજવણીનું મહત્વ
આસો વદ એટલે વાઘ બારસ, દિવાળી પહેલાનો આ દિવસ આદિવાસી પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો દિવસ હોય છે. પોતાના ઘરના પાલતુ પ્રાણીઓ કે જે જંગલમાં ઘાસચારો માટે રખડતા હોય છે. તેમના રક્ષણ માટે તેઓ વાઘદેવતાની પૂજા કરતા હોય છે. વાઘ બારસના દિવસે ગામના સૌ કુટુંબીજનો એકઠા થઈને વાઘદેવતાની પૂજા કરે છે. સવારના સમયે આદિવાસી લોકો ગામ કે સીમના વાઘદેવને ફુલહારથી સજાવે છે, ત્યારબાદ નારિયેળ વધેરીને પૂજાની શરૂઆત કરે છે. નાગદેવતાને ખુશ કરવા માટે તેઓ મરઘીનું ઈંડુ મૂકે છે. વાઘદેવતાને 4 વર્ષ સુધી સળંગ મરઘાની બલી ચડાવવામાં આવે છે અને પાંચમા વર્ષે બકરાની બલી ચડાવાય છે.
વાઘ બારસના દિવસે ઘરના પશુઓની કરવામાં આવે છે પૂજા
સાંજના સમયે ગામના ચોરા પાસે બધા ગ્રામજનો એકઠા થાય છે. બધા જ લોકો પોતાના ગાય-બળદોને એકઠા કરીને તેમની પૂજા કરે છે. ગામના પાંચ માણસો, પથ્થરના પાંચ દેવતા લઈને ગાયોની ફરતે પાંચ ફેરા ફરે છે. આ પથ્થર પર નાગ, વાઘ, ગાય, રીછ અને માણસના ચિહ્નો દોરેલા હોય છે, ત્યારબાદ દૂર રસ્તા પર એક જગ્યાએ ઈંડુ અને મરઘીનું નાનું બચ્ચું મુકવામાં આવે છે, ત્યારબાદ ઢોરને તે જગ્યા પરથી દોડાવવામાં આવે છે. ઈંડુ ફૂટી જાય કે બચી જાય તેના પરથી આખું વરસ કેવું જશે તેની ડાંગી આદિવાસી ગ્રામજનો ધારણા કરતા હોય છે. ચોરા પાસે અગ્નિ સળગાવવામાં આવે છે અને આ અગ્નિમાંથી ગોવાળીયાઓને પાંચ વખત કૂદકો મારવાનો હોય છે, ત્યારબાદ મુખ્ય ગોવાળને અગ્નિ પાસે જઈને ભગત દ્વારા પૂછવામાં આવે છે. મારી જગ્યા છોડીને જઈશ કે નહીં એટલે કે જંગલમાં જ્યારે ઢોરો ઘાસ ચરતા હોય ત્યારે વાઘ દેવતા અને નાગદેવતાને તેમના ઢોરોથી દુર રહેવાની વિનતી કરવામાં આવે છે. બાદમાં આ પાંચ લોકોને સમૂહમાં એક જ થાળીમાં ભોજન આપવામાં આવે છે. આ પૂજા વિધિ બાદ ગ્રામજનો સમુહભોજન કરીને પોતાના ઘરે આવે છે. તે પછી સાંજે ગાય બળદોને ઘરે લાવીને ડાંગર ખવડાવવામાં આવે છે.
પરંપરાગત પ્રથાને ડાંગી આદિવાસીઓએ જાળવી રાખી છે
વર્ષોથી ચાલી આવતી આદિવાસી પરંપરા આજે પણ ડાંગી આદિવાસી લોકોએ જાળવી રાખી છે. વાઘ બારસના દિવસે ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં આજ રીતના વાઘદેવતાની પૂજા કરવામાં આવે છે. સામાન્ય માણસ માટે આ પૂજાવિધિઓ સમજની બહાર છે. પણ આદિવાસી પ્રજા માટે તેમની સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે તેમની આસ્થા જોડાયેલી છે.