અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમયોગીઓ જેવા કે, ફેરિયાઓ, રીક્ષાચાલકો,બાંધકામ શ્રમયોગીઓ, કચરો વીણનાર, બીડી કામદારો, ખેત શ્રમિકો, ડ્રાઈવર,દરજી, મોચી, ઘરેલું કામદારો, સ્વરોજગારી મેળવતા શ્રમયોગીઓ વગેરેને વૃધ્ધાવસ્થામાં પેન્શનનો લાભ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલમાં મૂકવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમયોગીઓ કે જેમની માસિક આવક રૂપિયા 15000/- કે તેથી ઓછી છે અને ઉંમર 18 થી 40 વર્ષ છે તેવા અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે

આ યોજના હેઠળ નોંધાયેલાં શ્રમયોગીની ઉંમરના પ્રમાણમાં રૂપિયા.૫૫ થી રૂપિયા 200 સુધીનો માસિક ફાળો સીધો તેઓના બેંક ખાતામાંથી કપાશે. આ ફાળાની રકમ શ્રમયોગી 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી દર માસે ભરવાનો રહેશે. દર માસે લાભાર્થીના ફાળા જેટલો જ ફાળો ભારત સરકાર દ્વારા જે તે શ્રમયોગીના ખાતામાં જમા કરાવવામાં આવશે. ત્યારબાદ લાભાર્થી જ્યારે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારથી દર માસે રૂપિયા 3000/- પેન્શન મળશે. પેન્શન શરૂં થયા બાદ જો શ્રમયોગીનું અવસાન થાય તો તેના પતિ/પત્નિને અડધુ એટલે કે રૂપિયા 1500/- પેન્શન દર માસે મળવા પાત્ર થશે.
આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અસંગઠિત શ્રમયોગીઓ ફક્ત આધારકાર્ડ,સેવિંગ બેંક અથવા જનધન બેંક ખાતાની વિગતો,વપરાશમાં હોય તે મોબાઈલ ફોન અને પ્રથમ ફાળાની રકમ જ સાથે લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે NPS, EPF તથા ESIC નો લાભ લેતા અને આવકવેરો ભરતા શ્રમયોગીઓ આ યોજના હેઠળ જોડાઈ શકશે નહીં. ‛‛પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’’ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 3.60 લાખ શ્રમયોગીઓ જોડાયેલા છે. જ્યારે સમગ્ર દેશમાં કુલ 32.68 લાખ શ્રમયોગીઓ સંકળાયેલાં હોવાનું મદદનીશ શ્રમ આયુક્ત-વલસાડ દ્વારા જણાવાયું છે.