ડાંગ: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નોવેલ કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરાના વાઈરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 21 દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સંદર્ભ (2) ના જાહેરનામાથી ભારત સરકાર ગૃહ મંત્રાલયના હુકમથી આપવામાં આવેલા માર્ગદર્શક સૂચનાઓની અમલવારી કરવા જણાવવામાં આવ્યું છે.
દેશના કેટલાક વિસ્તારોમાં COVID- 19 ના કેસો તપાસ દરમિયાન બહાર આવી રહેલ છે. જેની અસરોને નિયંત્રિત કરવા માટે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ તા.૧૫ એપ્રિલ થી 3 મે સુધી મોકુફ રાખવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે સરકારશ્રીના ઉક્ત સંદર્ભ (3) ગુજરાત સરકારશ્રી ગૃહ વિભાગના જાહેરાનામા નં.જીજી/23/2020/વિ-1/કઅવ/102020/482 તા.14 એપ્રિલ જાહેરનામાંથી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ તા.15 એપ્રિલ થી તા.3 મે સુધી મોકુફ રાખવા આદેશ કરવામાં આવેલ છે.
ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર(આઈ.એ.એસ.),ડાંગ-આહવા,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, તમામ રોજગારો પુરો પાડતા ઉઘોગો,વેપારી, વાણિજ્ય સંસ્થા,દુકાનો,કોન્ટ્રાકટરો, હોટલો, આઉટસોર્સથી સ્ટાફ પુરો પાડતી એજન્સીઓએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન ઉઘોગો,વેપારી, વાણિજ્ય સંસ્થા, દુકાનો બંધ રહયા હોય તો પણ કામના માટે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઇપણ પ્રકારની કપાત વગર પુરેપુરૂ ચૂકવવાનું રહેશે. કામદારો,શ્રમિકો,સ્થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેણાંક મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માગવાનું રહેશે નહીં.
જો કોઇ મકાન માલિક તેમના મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિઘાર્થીઓને તેમની માલિકીની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવશે. કોઇપણ ઉઘોગો,વેપારી,વાણિજ્ય સંસ્થા,દુકાનો, કોન્ટ્રાકટરોએ તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળના માલિકે કરવાની રહેશે. આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના તમામ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ તા.15 એપ્રિલથી તા.3 મે (બંને દિવસો સુધી અમલમાં રહેશે)
આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર રહેશે. આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાંચ વર્ષથી વધુ સેવાઓમાં હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
વધુમાં જાહેરનામાના મુદા નં.1 માટે મદદનીશ શ્રમ આયુક્ત શ્રી તેમજ સરકારી શ્રમ અધિકારીશ્રી પણ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.