ડાંગ : પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ નડગખાદી ગામનાં રહીશ નામે નવસુભાઈ જાનુભાઈ વાડુની જમીન ગામ નજીક આંબાદરા ફળિયા પાસેનાં જંગલ વિસ્તારમાં આવેલી છે. તેઓ પરિવાર સાથે ત્યાં કાચા મકાનમાં રહેતા હતા. મંગળવારે બપોરનાં અરસામાં આ નવસુભાઈ વાડુનાં કાચા મકાનમાં એકાએક આગ લાગી જતા ઘટના સ્થળે આ કાચુ મકાન સહિત તેમાં રહેલ ઘર વખરી, અનાજ કપડા બળીને ખાખ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બપોરનાં અરસામાં નડગખાદી વિસ્તારમાં ઘટના સ્થળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મકાન બળીને ખાખ થઈ જતા આદિવાસી ઇસમને મોટુ નુકસાન થવાની સાથે તેના ઉપર મોટી આફત તૂટી પડી હતી. વહીવટી તંત્ર કોઈ સહાય આપે તેવી માંગ ઉઠવા પામી છે.