પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)કેન્દ્ર સરકાર અને પ્રસારણ મંત્રાલય અમદાવાદ દ્વારા દમણના સચિવાલયમાં એક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. PIBના ADG ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે, પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાથે સરકારી જાણકારી પ્રાપ્ત કરવામાં થતી સમસ્યાઓ પર આ વાર્તાલાપનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના વિષય પર તેમજ હાલના ડિજિટલ મીડિયા અંગેના વિષય ઉપર જાણકારી આપવાના હેતુથી આ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં PIBના ધીરજ કાકડીયા સહિત અન્ય ઉપસ્થિત મીડિયા સાથે સંકળાયેલા મહાનુભાવોએ પત્રકારત્વ અંગે વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વર્કશોપમાં વિવિધ સમાચાર, રિપોર્ટર, તંત્રી, ન્યુઝ પેપર, ટીવી ચેનલો સહિતના વિષયો પર વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. જેમાં સમાચાર છપાયા બાદ સમાચાર બાબતે થતી કાયદાકીય કાર્યવાહી અંગે અને સમાચાર મેળવવા માટે શું કરવું જોઈએ. તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મીડિયાની ભૂમિકા અંગે તેમણે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
PIB આયોજિત રૂરલ મીડિયા વર્કશોપમાં દમણ, દાદરા નગર હવેલી, વાપીના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે દમણના પ્રશાસકના એડવાઇઝર, દમણ કલેકટર, દમણ પોલીસવડા, પ્રવાસન વિભાગ, દમણ નગરપાલિકા ચીફ ઓફિસર, ટ્રાન્સપોર્ટ વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્કશોપમાં દમણમાં યૂટ્યૂબ ચેનલ, વેબસાઇટ્સ, કેબલ ટીવી પ્રસારણના પત્રકારો-માલિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડિજિટલ મીડિયા અંગે પડતી મુશ્કેલી-મૂંઝવણો અંગે સવાલો કરી સંતોષજનક જવાબ મેળવવા પ્રયાસો કર્યા હતા.