દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા લોકડાઉનમાં ઉદ્યોગમાં કામ કરતા 25000 પ્રવાસી કામદારો માટે 15 ટ્રેન, 4000 હજાર પ્રવાસીઓ માટે બસની વ્યવસ્થા પુરી પાડી વતન મોકલાવ્યા બાદ હવે સંઘપ્રદેશની બોર્ડરથી ઘેરાયેલા ગુજરાતના લવાછા ગામના લોકો પ્રદેશમાં આવાગમન કરી શકશે તેવી વિગતો સેલવાસ કલેક્ટર સંદીપકુમાર સિંઘે આપી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર સંદીપકુમાર સિંઘે આ અંગે જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કારણે લાગેલા લોકડાઉન બાદ પ્રવાસી કામદારોમાં વતન વાપસીની સમસ્યા ઉભી થઇ હતી. જે દરમિયાન પ્રશાસન દ્વારા કામદારોને ખાવા-પીવાની અને રહેવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન કામદારો વતન જઈ શકે તેઓ નિર્ણય સરકારે લીધો હતો અને તે માટે શ્રમિક ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા પ્રદેશમાં ફસાયેલા અને વતન જવા માગતા 25,000 જેટલા કામદારોને 15 ટ્રેન મારફતે તેમના વતન મોકલ્યા છે. સંઘપ્રદેશમાં મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ સહિતના રાજ્યના કામદારો કામ કરતા હતા. જેઓને ટ્રેન મારફતે અને અન્ય રાજ્યના 4000 જેટલા લોકોને બસ મારફતે વતન મોકલ્યા છે. વતન વાપસી વખતે તમામ કામદારોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા હતા. આ કર્મભૂમિમાં કામદારો પરત આવે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
તો આ સાથે જ દમણના જેટલા પણ ઉદ્યોગો છે. તે ઉદ્યોગોમાં અન્ય કામદારોને રોજગારી આપવામાં આવે તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. કલેકટર સંદીપ કુમારે વધુમાં જણાવ્યું હતું કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં જ આવેલા ગુજરાતના લવાછા ગામના લોકોને લોકડાઉનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
લવાછા ગામના મોટાભાગના લોકો દાદરા નગર હવેલીમાં જ રોજગારી મેળવવા આવતા હોતા, બોર્ડર સીલ કર્યા બાદ તે લોકોની હાલત કફોડી થઈ હતી. જેને પ્રશાસનને ધ્યાનમાં લઇ બુધવારથી બોર્ડર ખોલી નાખી છે. લવાછા ગામના દરેક નાગરિકો અને કામદારો રાબેતા મુજબ પાસ મેળવી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રવેશ મેળવી શકશે.
સંદીપકુમારે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં હાલ માત્ર એક જ કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે. જે કેસ એક નાની બાળકીનો છે ત્યારે, આવનારા દિવસોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે કોરોના મહામારી સામે સાવધાની રાખે અને પ્રદેશને સલામત રાખેએ ખૂબ જ જરૂરી છે.