દાહોદઃ જિલ્લામાં વિનોદ રાવ કલેક્ટર વિજય ખરાડી સાથે ઝાયડ્સ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દાહોદ જેવા છેવાડાના વિસ્તારમાં અદ્યતન સુવિધા સાથે દર્દીઓની સારવાર થઇ રહી છે. જેથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીં તેમણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા એક દર્દી સાથે વીડિઓ કોલિંગ મારફતે ચર્ચા કરી હતી.

સારવાર કેવી રીતે થઇ રહી છે? એ વિશેની વિગતો પણ દર્દી પાસેથી જાણી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો અને સ્ટાફ નર્સ સાથે પણ વિનોદ રાવે ચર્ચા કરી હતી. તેમણે દર્દીના પરિજનો માટે શેલ્ટર બનાવવા માટે સૂચન કર્યું હતું.

જો કે, આ શેલ્ટર બનાવવા માટેની કામગીરી શરૂ હોવાની વિગતો તેમને આપવામાં આવી હતી. કલેક્ટર ખરાડીએ દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા તથા ઝાયડ્સના ડો. સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં.