દાહોદ: શહેર અને જિલ્લાની કૉલેજોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે નોકરીની સુવર્ણ તકો ઉભી થઇ છે. નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન નોંધણી કરાવેલી હોય તેમના માટે ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે ભરતી મેળો રાખવામાં આવ્યો છે. જેમાં 1,134 ઉમેદવારોને નોકરીની તક મળશે. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા વિદ્યાર્થીઓ માટે સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, પહેલા એવું હતું કે માત્ર ઇજનેરી કૉલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ થતાં હતાં, પરંતુ હવે સરકારે નોલેજ કોન્સોર્ટીયમના માધ્યમથી તેનું વિસ્તરણ થયું છે અને આર્ટસ, કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પણ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ સુધી ચાલશે. કેમ્પસ પ્લેસમેન્ટના કારણે વિદ્યાર્થીઓને નોકરીની તક ઘર આંગણે જ સાંપડે છે, તો ઇન્ટરવ્યુમાં અસફળ રહેનારા ઉમેદવારોને તેનો અનુભવ મળે છે અને પોતાનામાં ઘટતા આત્મવિશ્વાસ તથા ખામીઓ શોધવાનો અવસર પણ મળે છે.
કલેકટર ખરાડીએ ઉમેર્યું કે, દાહોદના ભરતી મેળામાં કુલ 1,872 ઉમેદવારોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. જેમાંથી 1,134 ઉમેદવારો ઉ૫સ્થિત રહેશે. જ્યારે 32 જેટલી વિવિધ કંપનીઓ તથા પેઢીઓએ આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાની છે. પસંદગી પામેલા ઉમેદવારોને નિયમોનુસારના વિવિધ લાભો જેવા કે પી.એફ., વાહન સુવિધા, રાહત દરે કેન્ટીનમાં ભોજન સહિતની સુવિધા સાથે 10થી 15 કે તેનાથી વધુ લાયકાત અનુસાર પગારની ઓફર કરવામાં આવશે.