દાહોદઃ જિલ્લો ડુંગરાળ ભૌગોલિક સ્થિતિમાં પથરાયેલો હોવાથી સિંચાઈના સરળ સાધનો ઉપલબ્ધ બની શક્યા નથી. જિલ્લામાં નાના જળાશયો સીમિત માત્રામાં હોવાથી લિફ્ટ સિંચાઇ વ્યવસ્થા હોવાના કારણે ધરતીપુત્રોએ અવકાશી ખેતી પર નિર્ભર રહેવું પડતું હોય છે. જિલ્લામાં વર્ષા ઋતુનું આગમન થતાં ધરતીપુત્ર દ્વારા વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના કુલ 3,82,04,204 હેક્ટર ક્ષેત્રફળ વિસ્તારમાંથી આવેલી 2,24,000 હેક્ટર ખેતી વિસ્તારની જમીન આવેલી છે. આ ખેતી વિસ્તાર પૈકીના 50 ટકા વિસ્તારમાં જિલ્લાના ખેડૂતોએ વિવિધ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. દાહોદ જિલ્લામાં 1,31,558 હેક્ટર વિસ્તારમાં મકાઈ 69% અને સોયાબીન પાકનું 14% સહિત અડદ, મગ, તુવર, ડાંગર, મગફળી અને શાકભાજી પાકોનુ વાવેતર કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં વાવેતર કરાયેલા ખરીફ પાકમાં મકાઈ પ્રથમ ક્રમે છે જ્યારે સોયાબીન બીજા ક્રમનો ચોમાસુ પાક છે. જિલ્લામાં વરસાદી ખેતી પર નભતા અને પથરાળ જમીન ધરાવતા ધરતીપુત્રોએ વર્ષાઋતુના આગમન બાદ પણ વધુ વરસાદની આશાએ ચોમાસુ પાકનું વાવેતર કરવાનું ટાળ્યું છે. જ્યારે ચોમાસુ પાકના વાવેતરના સપ્તાહ પછી વરસાદે હાથતાળી આપવાના કારણે ધરતીપુત્રો મોંઘા ભાવનું બિયારણ ખાતર નકામુ જવાની ચિંતા સતાવી રહી છે જેના કારણે સુકાતા પાકને નિહાળીને કેટલીયે જગ્યાએ ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

દાહોદ તાલુકામાં14621 હેક્ટરમાં મકાઈ, 377 હેક્ટરમાં ડાંગર, 12825 હેક્ટરમાં સોયાબીન સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે દેવગઢ બારીયા તાલુકામાં 13152 હેક્ટરમાં મકાઈનું અને 880 હેક્ટર વિસ્તારમાં ડાંગર પાક 310 હેક્ટરમાં તુવેર સહિત વિવિધ પાકોનું વાવેતર કરાયુ છે. ધાનપુર તાલુકામાં 10865 હેક્ટરમાં મકાઈ, ડાંગર 1676 ટ્રેક્ટર માં અને 973 હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે. ફતેપુરા તાલુકામાં 8722 હેક્ટરમાં મકાઇ પાક 210 હેક્ટરમાં, ડાંગર ૬૫૦ હેક્ટરમાં,650હેક્ટરમાં તુવેર અને 513 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરાયું છે. ગરબાડા તાલુકામાં 9201 હેક્ટરમાં મકાઈ, 1230 હેક્ટરમાં ડાંગર, 2814 હેક્ટરમાં સોયાબીન પાક નું વાવેતર કરાયુ છે.
ઝાલોદ તાલુકામાં 16300હેક્ટરમાં મકાઇ, 2110 માં ડાંગર અને 3123 હેક્ટર વિસ્તારમાં સોયાબીન પાકનું વાવેતર કરાયું છે. લીમખેડા તાલુકામાં 8851 હેક્ટરમાં મકાઈ 2,180 હેક્ટરમાં ડાંગર 790 હેક્ટરમાં સોયાબીન 414 હેક્ટરમાં તુવેરપાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સિંગવડ તાલુકામાં 5510 હેક્ટરમાં મકાઈ અને 1420 હેક્ટરમાં ડાંગર પાક તેમજ 310 હેક્ટરમાં તુવેર અને ૫૬૫ હેક્ટરમાં સોયાબીન પાકનું વાવેતર કરાયું છે જ્યારે સંજેલી તાલુકામાં 4138 સેક્ટરમાં મકાઈ, ૫૧૦ હેક્ટરમાં ડાંગર, 245 હેક્ટરમાં તુવેર અને ૨૦૦ એક્ટરમાં સોયાબીન પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં અડદ, મગ, કપાસ, મગફળી, તલ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

વરસાદ વધુ ખેંચાવાને ફરી વાવેતર કરવો પડી શકે.
દાહોદ જિલ્લામાં વર્ષાના આગમન બાદ ધરતીપુત્રોએ 50% વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે પરંતુ વાવેતરની સાથે વરસાદે હાથતાળી આપીને છૂમંતર થઈ જવાના કારણે વાવેતર કરેલ બિયારણના નિષ્ફળ જવાના એંધાણ વર્તાઇ રહયા છે જો એક-બે દિવસમાં વરસાદ નહીં વર્ષે તો ખેડૂતો ને માથે હાથ દઇને રોવાનો વારો આવશે અને ફરી વાવેતર કરવું પડી શકે છે.

વરસાદ ખેંચાય તો ખેડૂતોને પડશે બેવડો માર
સૂકી ખેતી પર નિર્ભર દાહોદ જિલ્લાના ખેડૂતો કોરોના મહામારીનો આર્થિક માર સહન કરી માંડ ઉભરી રહ્યા છે ત્યાં જ મોંઘા ભાવે બિયારણ અને રાસાયણિક ખાતર ખરીદીને સારો પાક થવાની આશાએ વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ખેંચાવાને કારણે વાવેતર નિષ્ફળ જાય તો ખેડૂતોની કમર તૂટી જશે અને તેમને કોરોના અને નિષ્ફળ ખેતીનો બેવડો માર સહન કરવો અશક્ય બની શકે છે.
દાહોદ જિલ્લામાં જુલાઈ માસની શરૂઆત થવા છતાં પણ હજી 50 ટકા ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કરી શક્યા નથી તેમજ વાવેતર કરેલ ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે જો ખેડૂતો નું બિયારણ નિષ્ફળ જાય તો સરકાર સહાય કરે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.