દાહોદઃ જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2020-21 માટે મળવાપાત્ર 11 કરોડની રકમ સામે 1358 કામોને મંજૂરી આપવામાં આવી છે. જયારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ 2020-21 માટે મળવાપાત્ર 7227.93 લાખની રકમ સામે 4938 કામોને મંજૂરી આપવામાં આવી છે.
- 2020-21 માટે મળવાપાત્ર 11 કરોડની રકમ સામે 1358 કામોને મંજૂરી અપાઈ
- આદિજાતિ વિકાસ મંડળ દ્નારા 2020-21 વર્ષ માટે 7227.93 લાખની રકમ અપાઈ
દાહોદ જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠકમાં મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે સર્વે લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઇએ. જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય, જિલ્લામાં રસ્તા, વિજળી, પાણી માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે સૌના સહિયારા અને સઘન પ્રયાસોની જરૂર છે. આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે અને કોરોના મહામારી હોવા છતાં પણ આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કોઇ બજેટકાપ મૂકવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે,આ બેઠકમાં જિલ્લામાં ગત વર્ષે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલાં કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં મંત્રી બચુભાઇ ખાબડે પાણી, સિંચાઇ સહિતની બાબતો માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોરે રસ્તા, વીજળી સહિતની બાબતો માટે જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના વિકાસ કાર્યો બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય ચંદ્વિકાબેન બારીયા, વજેસિંહભાઇ પણદા, રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, સર્વ તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા આયોજન અધિકારી કે.એસ.ગેલાત, પ્રાયોજના વહીવટદાર બી.ડી. નીનામા, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.