ભાવનગરઃ શહેરમાં કોરોના વાઇરસથી પ્રજાની સુરક્ષા માટે આરોગ્યના તબીબો અને કર્મચારીઓ કોરોના મહામારીમાં પોતાનો જીવ દાવ પર લગાવીને કામગીરી કરી રહ્યા છે. ભાવનાગરમાં 585 ફ્રૂટ વાળા, દૂધ અને શાકભાજીના 912 લોકો અને 327 રેશન શોપ વાળાનું સ્ક્રીનીંગ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોના વાઇરસે રાજ્યની સાથે ભાવનગર જિલ્લાને પણ ભરડામાં લીધો છે ત્યારે તેના વધુ સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ પ્રયત્નબદ્ધ છે. જેના પગલે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરિયાણા અને દવાની દુકાનધારકો તથા શાકભાજી તથા ફળના ફેરિયાઓ અને દૂધવાળા સહિતના 912થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.
સ્પર્શ અને સંપર્કના કારણે સંક્રમણનું જોખમ ધરાવતા નોવેલ કોરોના વાઇરસના ચેપની શક્યતાઓ સુપર સ્પ્રેડરના કારણે વધી જાય છે. જેને ધ્યાને લઈ ભાવનગર શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા તેમના આરોગ્યની તપાસણી હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 912 સુપર સ્પ્રેડરનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી કોઈપણ વ્યક્તિને તાવ, શરદી, ખાંસીના લક્ષણો જણાયા ન હતા. સાથે સાથે જો આવા કોઈપણ લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર લેવા પણ જણાવવામાં આવ્યું હતું.
મોટા પ્રમાણમાં વ્યક્તિગત સંપર્કમાં આવતા આ દુકાનદારો અને ફેરિયાઓના આરોગ્યની તપાસણી સાથે ફરજિયાત માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝનો નિયમિત ઉપયોગ કરવા તથા કરિયાણું, શાકભાજી કે દવા જેવી આવશ્યક ચીજવસ્તુ લેવા આવતા ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા સહિતનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વધુમાં આ તમામને આરોગ્ય સેતુ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
કરિયાણાની દુકાન, દવાની દુકાન, શાકભાજીના ફેરિયા, દૂધવાળા, કુરીયર બૉય અને સફાઈ કામદારો મોટા પ્રમાણમાં લોકોના વ્યક્તિગત સંપર્કમાં આવતા હોઈ તેમના થકી ચેપની શક્યતાઓ વધુ હોઈ તેમને સુપર સ્પ્રેડર કહેવામાં આવે છે.
સુપર સ્પ્રેડર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે તો કોરોના વાઇરસના સંક્રમણની શક્યતાઓ ઘટાડી શકાય છે. માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રોએક્ટીવ કામગીરી કરી તમામના આરોગ્યની તપાસણી કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતુ.