ભાવનગરઃ ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ મામલે કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સફળ રહી હતી પરંતુ પોલીસે બાદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મેદાનમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશ પોલીસે ભોગ બનનાર યુવતિના કરેલા અગ્નિ સંસ્કારને પગલે સરકાર ભીંસમાં આવી છે. પરિવારની હાજરી વગર કરેલા અગ્નિસંસ્કાર પર રાજકારણ શરૂ થયું થયું છે. હાથરસ ગામ તરફ જતા રાહુલ અને પ્રિયંકા ગાંધીને પોલીસેે રોક્યા હતા અને ધક્કામુકી સહિત રાહુલ ગાંધી પર લાકડીઓ વડે હુમલો કરાયા હોવાના આક્ષેપ વચ્ચે સમગ્ર દેશમાં કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેના પોલીસના વ્યવહારને પગલે સમગ્ર દેશમાં કોંગ્રેસે કાર્યક્રમ આપ્યા છે. જેને લઈને ભાવનગરમાં પણ કોંગ્રેસે ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કર્યું હતું. પોલીસ વચ્ચે કોંગ્રેસ પૂતળા દહન કરવામાં સફળ રહી હતી.
કોંગ્રેસના આ કાર્યક્રમમાં દરેક કાર્યકર આગેવાનો હાજર રહ્યાં હતાં. ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસના કાર્યક્રમમાં પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.