ભાવનગરઃ શહેર અને જિલ્લામાં વસતા પરપ્રાંતિયો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 1253 જેટલા મજૂરોને હેલ્થ ચેકઅપ અને ટોકન નંબર આપી ભોજન કરાવીને યાત્રા માટે વ્યવસ્થા સાથે રવાના કરવામાં આવ્યા હતા.
![ભાવનગરથી ગોરખપુર પરપ્રાંતિયોને મોકલવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03traingoavchirag7208680_08052020165314_0805f_1588936994_937.jpg)
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને રોજ જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા ભાવનગર રેલવેના જંક્શન ખાતેથી બપોરે 3 કલાકે 1253 જેટલા પરપ્રાંતિય મજૂરોને વતનમાં પરત ફરવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેને રવાના કરતા સમયે જિલ્લા વહીવટી તંત્ર તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકડાઉનના કપરા સમયમાં આ પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન પરત નહોતા જઇ શક્યા, તેઓને વતન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક કોચમાં 72 વ્યક્તિઓને સમાવિષ્ટ કરવાની ક્ષમતા હોય છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને 54 જેટલા શ્રમિકોનો જ સમાવવામાં આવ્યા હતા.
![ભાવનગરથી ગોરખપુર પરપ્રાંતિયોને મોકલવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03traingoavchirag7208680_08052020165314_0805f_1588936994_929.jpg)
ભાવનગરથી મુસાફરી કરનારા તમામ શ્રમિકોને 3 પ્રકારના ફૂડ પેકેટ, છાસ, ફળ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક આપવામાં આવ્યા હતા. તેમજ કોચમાં સ્વચ્છતા જાળવવા હેન્ડ સેનિટાઈઝર, હેન્ડ વોશ તથા સાબુની સુવિધા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વહીવટી તંત્ર અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચિત્રા ખાતે આવેલા ઓમ પાર્ટી પ્લોટમાં શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રેલવે તંત્ર દ્વારા તમામ કોચને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. ટિકિટ એક્ઝામિનર તથા વરિષ્ઠ અધિકારીઓએ કતારબંધ ઉભા રહીને શ્રમિકોને ભાવસભર વિદાય આપી હતી. ડી.આર.એમ–ભાવનગર પ્રતીક ગૌસ્વામી, પ્રાંત અધિકારી ચૌધરી તેમજ રેલવે સેવાના સંબંધિત અધિકારીઓ–કર્મચારીઓ સમગ્ર વ્યવસ્થામાં જોડાયા હતા.