ભરૂચ : ઝઘડિયા તાલુકાના જંગલ અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોની આજીવિકા સમાન પશુઓને શિકાર બનાવનાર દિપડાઓએ આશ્રયની શોધમાં અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં પેશકદમી કરી છે. અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. સાવચેતીના પગલાં રૂપે મારણ સાથે 7 પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
દીપડાના હુમલા વધ્યા : અંકલેશ્વરમાં છેલ્લા 2 મહિનામાં દીપડાના હુમલાની ત્રણ ઘટના સામે આવી છે. ગત ઓક્ટોબર માસમાં અંકલેશ્વર તાલુકામાં સૌ પ્રથમ ગડખોલના જીએનએફસી તળાવ નજીક દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. જેના 20 દિવસ બાદ માંડવા ગામની સીમમાં આલ્કેમ કંપની નજીક ચોકીદારની ઓરડી નજીક ગાયનું મારણ કર્યું હતું. બાદમાં જૂના કાંસીયા ગામમાં ગણેશ ફાર્મમાં દીપડાએ શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો હતો.
અંકલેશ્વરમાં દીપડાની એન્ટ્રી : અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ખેતરમાં દીપડાની પેશકદમી બાદ પાછળ પંજાના નિશાન જોઈને સવારે ખેતરે આવેલ ખેડૂતો અને મજૂરો ફફડી ઉઠયા હતા. આ ઘટના બાબતે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી પંજાના નિશાન જે દિશા તરફ જાય છે તે દિશામાં દીપડાની હાજરી અથવા ચહલપહલની શક્યતા તપાસી હતી. આ સાથે 7 વિસ્તારો ડિટેકટ કરી મરઘાં અને બકરાના મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
7 પાંજરા ગોઠવાયા : અંકલેશ્વર વનવિભાગના વનકર્મી ભાવેશભાઈ મોભના જણાવ્યા મુજબ અંકલેશ્વરના માંડવા, સામોર, નવા કાંસિયા, જુના કાંસિયા, છાપરા અને ઉછાલીમાં દીપડાની પેશકદમીના સંકેતો પાછલા 2 મહિનામાં 3 મારણની ઘટના અને પંજાના નિશાન પરથી સામે આવ્યા છે. હાલ 7 વિસ્તારો ડીટેકટ કરી સાવચેતીના ભાગરૂપે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ નાઈટ વિઝન કેમેરા મુકવાની પણ તજવીજ શરૂ કરી હતી. ઉપરાંત લોકોને પણ દીપડા અંગે જાગૃત કરવા પ્રયાસ કર્યો છે.
ગ્રામજનો જોગ સૂચના : અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફાર્મ હાઉસ આવેલાં છે તથા શાંત વાતાવરણ હોવાથી શિયાળાની ખુશનુમા સવારે લોકો જોગિંગ માટે આવતાં હોય છે. ત્યારે દીપડાની હાજરીથી ભયનો માહોલ ફેલાયો છે. ખેતરોમાંથી શેરડી કાપી લેવામાં આવતા દીપડાઓનું આશ્રયસ્થાન છીનવાયું છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રીના સમય દરમિયાન ખેતરમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ગામમાં રાત્રીના સમય દરમિયાન એકલા વ્યક્તિને બહાર ન નીકળવા પણ જણાવ્યું છે.દીપડાની હાજરીથી ફક્ત ગ્રામજનો નહીં પણ ખેડૂતો માટે પણ જોખમ ઉભું થયું છે.
દિપડાના પંજાના નિશાન મળ્યા : અંકલેશ્વરમાં દીપડો હવે નર્મદા નદીના કિનારે આવેલા ગામો તરફ જોવા મળી રહ્યો છે. જૂના કાંસીયા સહિત માંડવા જેવા ગામ નજીક દીપડાના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં શેરડી, કેળ સહીત શાકભાજીની ખેતી વધુ હોય છે. ત્યારે હવે શેરડીનું કટીંગ શરૂ થતાં જ દીપડાઓ સુરક્ષિત રહેણાંકની શોધ સાથે જ્યાં પર્યાપ્ત માત્રામાં શિકાર મળી રહે તેવા વિસ્તાર તરફ પ્રયાણ કરે છે. આમ માનવ વસ્તી નજીક હવે બિલાડી કુળના દીપડા હવે વસવાટ કરી રહ્યા છે.
ખેડૂતોની માંગ : દીપડાની હાજરી ગ્રામજનો માટે તો સાવચેતીનો વિષય છે, પણ ખેતમજૂરો અને ખેડૂતો હવે વહેલી પરોઢે ખેતરે જતા કચવાટ અનુભવ કરે છે. જોકે દીપડાની હાજરીની અસર ખેતી પર થઈ છે. મોતનું ફરમાન લઇ દીપડો સામે આવી જાય તો જીવનું જોખમ ખેડૂતો અને ખેત મજૂરોને સંધ્યાકાળ બાદ વહેલી પરોઢે પાકને પિયત આપતા પણ રોકે છે. હાલમાં ખેડૂતો વીજ પૂરવઠો આપવાના સમયમાં ફેરફાર કરવા માંગ કરી રહ્યા છે.