ભરૂચઃ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાયરસના કોઈ પણ દર્દી હશે તેમને જયાબહેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 10 એપ્રિલથી જયાબહેન મોદી હોસ્પિટલમાં માત્ર કોરોનાની જ સારવાર થશે.
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ 2 દિવસથી અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી તેમજ જયા બહેન મોદી હોસ્પિટલની મુલાકાત લેતા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી તેમજ ચીફ ડોક્ટર સંતોષ ઝકરીયા સાથે હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડ સહીતની વિવિધ ફેસિલિટીનો ચિતાર મેળવ્યો હતો. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને લઇ ભરૂચ જિલ્લાની કોવિડ-19ની સ્પેશિયલ હોસ્પિટલ તરીકે જયાબહેન મોદી હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોના અનુલક્ષી કોઈપણ દર્દી આવે તો તેની તમામ સારવાર જયાબહેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવશે તેવી જાહેરાત જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાએ કરી છે. આગામી 10 એપ્રિલથી હોસ્પિટલમાં માત્ર કોરોના દર્દીની સારવાર જ કરવામાં આવશે. અન્ય તમામ સારવાર ફેસિલિટી હોસ્પિટલ ખાતે બંધ કરવામાં આવશે. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર, સહીત ઇકવીપમેન્ટ ઉપલબ્ધ છે. તેમજ કોરોના દર્દીના ઈલાજ માટેની તમામ ફેસિલિટી ઉપલબ્ધ છે. જેને લઇ જયાબહેન મોદી હોસ્પિટલની જિલ્લાની કોવિડ-19 કોરોના સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તરીકે પસંદ કરવામાં આવી છે.