ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસના નવા 5 કેસ પોઝિટિવ આવ્યાં છે. લોકડાઉન-4 ના પ્રથમ દિવસે જ જિલ્લામાં અમદાવાદ-મુંબઈથી યાત્રા કરીને આવેલા ભરૂચ તેમજ અંકલેશ્વરના 1 કિશોર, 2 મહિલા અને 2 યુવાનો સહિત કુલ 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓનો આંક 37 પર પહોંચી ગયો છે. હાલ 3 SRP જવાન સહિત 8 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાનાં 5 કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. શહેરમાં મકતમપુરમાં રહેતા અને અમદાવાદથી પરત ફરેલાં 46 વર્ષીય રાજેશ રાજપૂત, રહડપોર ગામના મુંબઈથી આવેલા 33 વર્ષીય વ્રજનાથ ઝા, અંકલેશ્વરના પીરામણ ગામના 40 વર્ષીય શાહીદા ચોઘરી તેમજ હેપીનગરનાં 13 વર્ષીય ઇરામ ચોધરી, અને અંકલેશ્વરના કોસમડી ગામમાં રહેતા અને મુંબઈથી જ પરત ફરેલા 26 વર્ષીય સોનલ પાટવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર દ્વારા આ પાંચેય વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયા છે. તો બીજી તરફ આ વિસ્તારોમાં સેનેટાઈઝરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આ તમામ દર્દીઓને અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 37 થઈ છે. જ્યારે 3 દર્દીઓના મોત અને બુધવારે જંબુસરના વળગામના સાકીર પરમારનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઇ હતી, જેથી કુલ 26 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. હવે કોવિડ હોસ્પિટલમાં 8 દર્દી સારવાર હેઠળ છે.