શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી અને નર્મદા ગ્રુપ દ્વારા ઝઘડીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુરૂવારના રોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.જેમાં રાજ્યપાલ દેવવ્રતને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા હતા. તો ખેડૂત શિબિરનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાસાયણિક ખેતીની બોલબાલા વચ્ચે ખેડૂતો ઝીરો બજેટ અને પાકૃતિક ખેતી કરતા થાય એ હેતુથી યોજાયેલ ખેડૂત શિબિરમાં ઝીરો બજેટ ખેતીના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકરે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી ઝેર સમાન છે. જેના કારણે ખેતી અને ખેડૂતો બંને બરબાદ થઇ રહ્યા છે. જેની સામે પ્રાકૃતિક ખેતી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. ત્યારે રસાયણિક ખાતરનો ઉપયોગ ટાળી પાકૃતિક રીતે જ ખેતી કરવી હિતાવહ છે.
ગુજરાતના રાજ્યપાલ અને ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલ આચાર્ય દેવવ્રતજીએ પણ પદ્મશ્રી સુભાષ પાલેકરની ખેતીની વિવિધ પદ્ધતિ ખેડૂતોને અપનાવવા અપીલ કરી હતી.આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના પાકના કારણે રોગનું પ્રમાણ પણ વધી ગયું છે. તો બીજી તરફ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થતા પાકના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેઓએ અપનાવેલી પ્રાકૃતિક ખેતીનાં ઉદાહરણ આપી ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા તેઓએ હાકલ કરી હતી.
આ શિબિરમાં સાંસદ મનસુખ વસાવા,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ,પ્રદેશ ભાજપના મહામંત્રી અને આયોજક ભરતસિંહ પરમાર,જીલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ,ગણેશ સુગર ફેક્ટરીનાં ચેરમેન સંદીપ માંગરોળા,આગેવાન બળદેવ પ્રજાપતિ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા