ભરૂચઃ શહેરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના માર્ગ પર 2 ફૂટનું ગાબડું પડતા દોડધામ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા માર્ગનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે વાહન વ્યવહારને અસર પહોચતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન 139 વર્ષ જૂના ગોલ્ડન બ્રીજમાં અંકલેશ્વર તરફના છેડાના માર્ગ પર 2 ફૂટ ઊંડું ગાબડું પડ્યું હતું. પ્રારંભિક ધોરણે પોલીસકર્મીઓએ ગાબડામાં પથ્થર મૂકી ગાબડું બંધ કર્યું હતું. જો કે બાદમાં આ અંગેની જાણ તંત્રને કરાતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવ્યું અને એટલો ભાગ કોર્ડન કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોચી છે.
વાહનો ધીમીગતિએ પસાર થતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સવાર અને સાંજના પીક અવર્સમાં વાહનોનું ભારણ વધુ રહેતા વાહનોની લાઈન લાગી હતી. જો કે પોલીસકર્મીઓએ ખડેપગે ફરજ બજાવી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.