ભરુચઃ ભરુચ નગર પાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામની નજીક ખેતર ભાડે રાખ્યું હતું. આ હંગામી ડમ્પિંગ સાઈટ માત્ર ચાર મહિના માટે લેવામાં આવી હતી. જ્યારે આજે બે વર્ષ કરતા ઉપરનો સમય થતા આસપાસના 7 ગામના સરપંચો અને લોકોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ લાવવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામ્યજનોએ ઉચ્ચારી છે.
ડમ્પિંગ સાઈટની ખરાબ અસરોઃ કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામ્યજનો ભોગવી રહ્યા છે. જેમાં તીવ્ર દુર્ગંધ, બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘન કચરાને સળગાવવામાં આવે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે. આવું વાતાવરણ નાગરિકો માટે નર્કાગાર સ્થિતિ સર્જે છે. અત્યારે આ ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ ગયા છે. આ કચરાના ડુંગરોમાંથી આવતી દુર્ગંધને પરિણામે આસપાસના ગામના લોકોનું જીવન દોહ્યલું બન્યું છે.
અધિકારીઓ સાથે વાટાઘાટોઃ ડમ્પિંગ સાઈટના ઉગ્ર વિરોધને પરિણામે ભરુચ નગર પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓએ ગ્રામ્યજનોને સમજાવ્યા હતા. નગર પાલિકાએ ગામના લોકો પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. અધિકારીઓએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ફ્રેશવેસ્ટની ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ હોવાનું જણાવ્યું છે. જો કે ખાતાકીય પ્રક્રિયા માટે 3 મહિનાનો સમય લાગશે તેમ કહ્યું હતું. અધિકારીઓની હૈયાધારણથી ગ્રામ્યજનોએ 3 મહિનાનો સમય નગર પાલિકાને આપ્યો છે.
નગરપાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં મનુબર અને થામ ગામને સમાંતર હંગામી ડમ્પિંગ સાઈટ માટે લાખો રુપિયા આપી ખેતર ભાડે રાખવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વિલાયત જીઆઈડીસીમાં કાયમી ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ફાળવેલ હોવા છતાં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના ખેતર માલિક સાથે બારોબાર વહીવટ કરી ડમ્પિંગ સાઈટ ઊભી કરી દેવાઈ છે. આ ડમ્પિંગ સાઈટ માત્ર 4 મહિના માટે બનાઈ હતી જ્યારે અત્યારે 2 વર્ષ કરતા વધુનો સમય થઈ ગયો છે. તેમ છતાં નગર પાલિકા આ સમસ્યાનું કાયમી નિવારણ લાવતી નથી. આ ડમ્પિંગ સાઈટને લીધે આસપાસના 7 ગામોના લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે...અબ્દુલભાઈ કામઠી(સ્થાનિક આગેવાન, મનુબર ગામ, ભરુચ)
નગર પાલિકા દ્વારા ફ્રેશવેસ્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ઈજારદાર પણ નક્કી થઈ ગયા છે. જો કે વર્ક ઓર્ડર માટે ખાતાકીય કામગીરીને લઈને થોડો સમય લાગે તેમ છે. તેથી અમે ગ્રામજનો સાથે વાતચીત કરી ૯૦ દિવસની મુદત માંગી છે...હરીશ અગ્રવાલ(મુખ્ય અધિકારી, ભરુચ નગર પાલિકા)