- શિયાળામાં શાકભાજીની નવી આવક વધતા ભાવમાં ઘટાડો
- બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું છે શાકભાજીનું વાવેતર
- ભાવ ઘટતા ખેડૂતોને નુકસાન
બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરે છે. દર વર્ષે ખેડૂતોને કઈક ને કઈક મોટી આફત આવતી હોય છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીમાં નુકશાન થતુ હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં લીલી શાકભાજી જેમાં લીલી ડુંગળી, ફુલાવર, કોબીજ, મૂળા, રીંગણ, લીલા ધાણા, મેથી, પાલકની મોંઘા બિયારણ લાવી ખેતી કરી હતી. પરંતુ જ્યારે શાકભાજીને નિકાળવાનો સમય આવ્યો ત્યારે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

લીલી શાકભાજીના ભાવ
લીલી શાકભાજી કે જે 25 થી 30 રૂપિયાના ભાવે વેચાઈ રહી હતી, તે શાકભાજી અત્યારે લિલી ડુંગળી રૂપિયા 1 થી 3 રૂપિયે કિલો, ફુલાવર 5 થી 7 રૂપિયે કિલો, કોબીજ 5 થી 7 રૂપિયે કિલો, મૂળા 1 થી 3 રૂપિયે, રીંગળા 3 થી 5 રૂપિયે કિલો, લીલા ધાણા 8 રૂપિયે કિલો, મેથી 5 થી 7 રૂપિયે કિલો અને પાલક 4 રૂપિયે કિલોના ભાવ વેચાઈ રહ્યા છે.

ખેડૂતોને શાકભાજીમાં આવક કરતા ખર્ચ વધારે
ડીસાની બજારોમાં જે પ્રમાણે નવા શાકભાજીની આવક વધી છે, તેના કારણે શાકભાજીના ભાવમાં સતત ઘટાડો થયો છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ્યારે શાકભાજીનું વાવેતર કર્યું હતું, ત્યારે શાકભાજીની બજારોમાં શાકભાજીના ભાવ ઉંચા આસમાને જોવા મળતા હતા, પરંતુ હાલ જે પ્રમાણે શાકભાજીની બજારોમાં સતત ગગડી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતો શાકભાજી ગાયોને ખવડાવવા મજબૂર
શાકભાજીના વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળતો નથી. તેમજ ખેતરમાંથી માર્કેટ સુધી લઈ જવાના પૈસા પણ મળતા નથી. ભાવ ઘટતા ખેડૂતોને મોટું નુકસાન થયુ છે. જેથી ખેડૂતો પોતાની શાકભાજી ગૌશાળા ખાતે ગાયોને ખવડાવવા મજબૂર બન્યા છે. હાલ ખેડૂતો સરકાર પાસે રાહતની આસ માડી બેઠા છે.