બનાસકાંઠાઃ પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઈન માહિતી તથા ખેડૂતવાર ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકાર દ્વારા સબસિડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ મશીન મારફતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પદ્ધતિમાં ખેડૂતના આધાર નંબર અને પી.ઓ.એસ મશીન મારફત ફરજિયાતપણે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઉદભવેલ કોવીડ-૧૯ની મહામારીની સ્થિતિને ધ્યાને લઈ સાવચેતીના પગલારૂપે પી.ઓ.એસ મશીન મારફતે કરવામાં આવતું આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મરજિયાત કરવામાં આવ્યું છે.
જે ખેડૂત ખાતર ખરીદી સમયે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવા માંગતા ન હોય તેમણે પોતાનું આધાર કાર્ડ અને કિસાન ક્રેડીટ કાર્ડ તથા મતદાન ઓળખ કાર્ડ સાથે લઈ જવાનું રહેશે, અને બન્ને કાર્ડની વિગતોની એન્ટ્રી કરી તેના દ્વારા આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વગર ખાતર ખરીદી કરી શકશે. રાસાયણિક ખાતર વિતરક સંસ્થા દ્વારા વિવિધ ખાતરોના વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ ફરજિયાતપણે થાય અને સામાજીક અંતર જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.