બનાસકાંઠા : લોકડાઉન 4 ને અનુલક્ષી ભારત સરકારની તા. 17 મે ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.18 મે ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલા છે. લોકડાઉનના નવા દિશા-નિર્દેશો અનુસાર બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ એસ.ટી. નિગમની બસો તા. 20 મે-2020 થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે-8.00 કલાકથી સાંજના 6.00 વાગ્યા સુધી 65 એસ.ટી.બસો કુલ- 424 ટ્રીપો કરશે.
એસ.ટી.બસો શરૂ કરવાના નિર્ણયની બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ માહિતી આપતા જણાવ્યું કે, GSRT દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરવામાં આવશે. તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસ.ટી.બસનું સંચાલન કરવામાં આવશે. માત્ર ઇ-ટિકીટ (મોબઇલ દ્વારા બુકીંગ) કરેલ મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે. બસના રૂટોના સંચાલનમાં કોવિડ-19 અંતર્ગત લેવાના થતાં સાવચેતીના પગલાં જેવા કે માસ્ક, સેનિટાઇઝેશન, થર્મલ સ્ક્રિનીંગની પણ એસ.ટી. દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત મુસાફરી કરતા લોકોને સોશ્યિલ ડિસ્ટન્સિગનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા કલેકટરએ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એસ.ટી. નિગમના આ નિર્ણયથી લોકોને આવાગમનની સુવિધા ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ-424 ટ્રીપોમાં અંબાજી ડેપોની 35, ડીસા- 49, દિયોદર-98, પાલનપુર-142, થરાદ ડેપોની-104 ટ્રીપો કુલ- 65 બસો દ્વારા કરવામાં આવશે.