બનાસકાંઠા: જિલ્લામાં પૂર્વ પટ્ટામાં વસતા અદિવાસી લોકોને પણ રોજગારી મળી રહે તે માટે દાંતા અને અમીરગઢ તાલુકામાં મનરેગા હેઠળ રાહત કામો શરૂ કરવામાં આવ્યા છે. દાંતા તાલુકાના અંબાજી નજીકના ગામોમાં મનરેગા હેઠળ ચાલતા કામોનું જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 38 હજાર જેટલાં લોકો વિવિધ ગામોમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં રોજગારી મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકડાઉનની સ્થિતિમાં લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે તે માટે ૫૦ હજાર લોકોને રોજગારી આપવાના આશયથી રાહત કામો શરૂ કરવામાં આવ્યા છે.

આ કામગીરીને શ્રમિકોએ પણ આવકારી સારી સંખ્યામાં રોજગારી માટે મનરેગાના કામોમાં તેઓ જોડાયા છે. તેમણે કહ્યું કે હજુ વધુ લોકો આ કામગીરીમાં જોડાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અંબાજી નજીક ચલતા મનરેગા યોજનાના કામોની સમીક્ષા કરવા આવેલા જિલ્લા વિકાસ અધિકરીશ્રીએ તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે મનરેગા હેઠળ ચાલતા કામોના સ્થળ ઉપર જઇ જિલ્લા વિકાસ અધિકારીએ આદિવાસી મજૂરો સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, અહીં કામ કરતા મજૂરો પોતાની મજુરીના કામ પ્રમાણે નાણાં મેળવી રહ્યા છે. જેના અંદાજે રોજના 140 થી 180 રૂપિયા મજૂરી મેળવે છે.
આ તમામ મજૂરોને મજુરીના નાણાં તેમના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. દાંતા તાલુકામાં મહત્તમ અદિવાસી લોકો પોતાના વિસ્તારમાં જ મજૂરી કરી આત્મનિર્ભર બની રહ્યા છે.

અંબાજી નજીક આવેલા રીંછડી ગામમાં પણ મનરેગા યોજના હેઠળ રાહત કામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાયબલ વિસ્તારના ૯૦ જેટલાં સ્ત્રી-પુરૂષો હાલ તળાવ ઊંડા કરવાની કામગીરીમાં જોતરાયા છે. અહીં કામ કરતા મજૂરો માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા સહિત આરોગ્યલક્ષી ફર્સ્ટએડ કીટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરી બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.