- સરકારી હૉસ્પીટલમાં દર્દીઓને હાલાકી
- કર્મચારીઓ કરી રહ્યા છે તોછડું વર્તન
- કર્મચારી સામે પગલા ભરવાની ઉઠી માગ
બનાસકાંઠા: ગરીબ દર્દીઓ પૈસાના અભાવે વ્યવસ્થિત સારવારથી વંચિત ન રહી જાય તે માટે તેમને રાહત દરે સારવાર આપવા દરેક તાલુકા તેમજ જિલ્લાઓમાં સરકારી હૉસ્પિટલો ઉભી કરવામાં આવી છે. પરંતુ ઘણીવાર આવી હૉસ્પીટલના કર્મચારીઓ દ્વારા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે જેથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ વાત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલની કે જ્યાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ જાહેરમાં દર્દીના સગા સાથે ગેરવર્તન કર્યુ હતું.
આ રેફરલ હૉસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ એક મહિલાના સગા જરૂરી ચીજવસ્તુઓ લઈ તેમને મળવા આવ્યા હતા. તે વખતે તેમના દ્વારા પાર્ક કરેલી ગાડી લેવામાં તેઓ થોડા મોડા પડતાં હૉસ્પિટલના કર્મચારી તેમની સાથે અભદ્ર શબ્દોમાં બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી હૉસ્પિટલની બહાર બેઠેલી અનેક બહેનોને પણ શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે પરંતુ તંત્ર સામે કોઇ પગલા લેવામાં આવતા નથી.
ફાર્માસિસ્ટને ત્યાં દવા લેવા આવતા લોકો સાથે પણ તેણે તોછડાઈભર્યુ વર્તન કરતા દર્દીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. લોકો આ કર્મચારીને શિસ્ત શિખવવામાં આવે તેમજ ગેરવર્તન બદલ પગલા ભરવામાં આવે તેવી માગ કરી છે.
કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો અનેક ગરીબ દર્દીઓને આવા કર્મચારીઓથી રાહત મળી શકે તેમ છે. હાલમાં કોરોના વાઇરસની મહામારીમાં રેફરલ હૉસ્પિટલના ડૉકટર્સ લોકોની ખડેપગે સારવાર કરી રહ્યા છે અને લોકો તેમને ભગવાનની સમાન માની રહ્યા છે ત્યારે આવા એકાદ કર્મચારીના કારણે આખી હૉસ્પિટલને બદનામી ભોગવવાનો વારો આવે છે.