બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી અને 12 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીની સત્તા મેળવવા માટે ઉમેદવારો સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યા છે. જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ પણ બનાસ ડેરીના ડિરેક્ટર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડગામ તાલુકાના ઈકબાલ ગઢ દૂધ મંડળીના મંત્રી લાલજીભાઈ ચૌધરીને તેમના તરફી મતદાન કરવા માટે વારંવાર દબાણ કરી રહ્યા હતા.
![Iqbalgarh Dudh Mandali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-aatmhatya-no-prayash-gj10014_02102020161659_0210f_1601635619_317.jpg)
આખરે લાલજીભાઈ ચૌધરી તેમને વશ ન થતાં તેમની મંડળીનું પેમેન્ટ રોકી થઈ તેમની સામે કાર્યવાહી કરવાની ધમકીઓ આપતા કંટાળેલા લાલજીભાઈ ચૌધરી મોડી રાત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ બનાવને પગલે લાલજીભાઈ ચૌધરીના સગા-સંબંધીઓએ તેમની હાલત ગંભીર થતા તેમને સારવાર અર્થે પાલનપુરની ખાનગી આઇસીયુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. લાલજીભાઈ પાસેથી એક જ સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ અને બનાસ ડેરીના સાતથી આઠ માણસો તેમને વારંવાર બનાસડેરીમાં બોલાવી વોટ આપવા માટે દબાણ કરતા હતા અને તેમને વશ ન થતા તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી તેમને ડેરીનું પેમેન્ટ અટકાવી દેતા આખરે કંટાળેલા લાલજીભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
![Iqbalgarh Dudh Mandali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-aatmhatya-no-prayash-gj10014_02102020161659_0210f_1601635619_217.jpg)
આ અંગે બનાસડેરીના આસિસ્ટન્ટ મેનેજરે જણાવ્યું હતું કે, ઇકબાલગઢ ગામે જે ઘટના બની છે તેની વાસ્તવિકતા એવી છે કે, મંડલીઓનું રૂટિન ઈસ્પેક્શન સંઘના અધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. તે મુજબ ઇકબાલગઢ મંડલીનું ઈસ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળીના અમુક ગંભીર પ્રકારની ખામીઓ ધ્યાનમાં આવી હતી. મંત્રી દ્વારા 20,28,596 જેટલી રકમ પોતાના અંગત કામમાં વાપરતા હતા. જે ભરપાઈ ન કરતા મંત્રીને નોટિસ આપીને રકમ ભરવા માટે જાણ કરાઈ હતી, પરંતુ મંત્રી દ્વારા આ પૈસા ન ભરવામાં આવતા તેમનું મંડળીનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ બનાવ બન્યો છે.