- ડીસાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
- શાંતિનગર વિસ્તારના રહીસો દ્વારા અનેકવાર રજૂઆત
- જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સહિત ત્રણ ડેમ ખાલીખમ
બનાસકાંઠાઃ જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ડીસામાં પણ સોમવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે ડીસા-પાલનપુર હાઈવે પર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. માર્કેટયાર્ડ પાસે પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ડાયવર્ઝન આપી વાહનચાલકોને અન્ય માર્ગેથી જવા માટે સૂચના અપાઈ હતી.
જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને દરેક તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. દિયોદરમાં પણ ગઈ કાલે બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે, સાર્વત્રિક વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે અને હજુ પણ વધુ વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા સહિત ત્રણેય ડેમ હજુ પણ ખાલીખમ છે ત્યારે વધુ વરસાદ થાય અને ત્રણેય ડેમ પાણીથી છલકાઈ જાય તેવી લોકો આશા રાખી રહ્યા છે.
આ બાજુ ડીસા શહેરમાં પણ ગત મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ, બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ડીસાના શાંતિ નગર વિસ્તારથી બહાર નીકળવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાય છે જેના કારણે બે ત્રણ દિવસ સુધી આ વિસ્તારના લોકોએ આ પાણીમાંથી ભારે હાલાકી ભોગવી પસાર થવું પડે છે.
આ મુદ્દે નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા શરૂ કરી હતી. ડીસા નગરપાલિકામાં શાંતિનાગર વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે થોડા વરસાદમાં જ આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડીસામાં અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોની મુલાકાત લઇ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.