બનાસકાંઠા/ બાદરપુરાઃ મધમાખી દિવસની ઉજવણી નિમિતે બનાસ ડેરી, NBB અને રાષ્ટ્રીય મધબોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બાદરપુરા બનાસ સંકુલ ખાતે રૂપિયા 1 કરોડના ખર્ચે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું વિધાનસભાના અધ્યક્ષ-બનાસ ડેરીના ચેરમેન શંક ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેરીક્ષેત્રના પદાધિકારીઓએ હાજરી આપી હતી.
ખેડૂતોએ આપી હાજરીઃ બનાસડેરીના બાદરપુરા સંકુલ ખાતે યોજાયેલા આજે આ કાર્યક્રમમાં જિલ્લામાંથી મધમાખી ઉછેર કરી મધ ઉત્પાદન કરતા ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂતોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે સીધી વાત કરી હતી. તેમજ તેઓને મધમાખી ઉછેર સમય પડતી મુશ્કેલીઓ તેમજ તેમણે કરેલા આ વ્યવસાય થકી તેમના જીવનમાં થયેલા પરિવર્તનના અનુભવો વ્યક્ત કર્યા હતા.
બનાસના પશુપાલકોની આવક વધારવા વધુમાં વધુ પશુપાલકોને મધુમાખી પાલનના વ્યવસાયમાં જોડાય તે જરૂરી છે. એમાં મહિલાઓની ભાગીદારી વિશેષ હોય તો આ વ્યવસાયને વધુ આગળ લઈ જઈ શકાય છે. આ વર્ષે બનાસ ડેરીમાં વર્ષ 2022-23 માં 98 ટન મધની આવક થઇ છે. ગુણવત્તાયુક્ત મધના ઉત્પાદન થકી બનાસ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અગ્રેસર બને તેવી સ્થિતિનું નિર્માણ કરવું છે. જેથી બનાસકાંઠાના લોકોને રોજગારી મળશે.--- શંકર ચૌધરી ( વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન)
મધનું ટેસ્ટિંગ શરૂઃ રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર રૂપિયા 1 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બનાસ મધ ટેસ્ટિંગ લેબોરેટરીમાં સમગ્ર ગુજરાતના લોકો મધનું ટેસ્ટિંગ કરાવી શકશે. તેમણે મધુમાખી પાલનના વ્યવસાય જોડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્ષ થી લઈ તમામ બાબતે સહકાર આપવાની ખાતરી આપી હતી. દૂધની જેમ સહકાર થકી મધમાખી ઉછેરમાં પણ બનાસ અગ્રેસર બને તેવો મક્કમ નિર્ધાર બનાસ ડેરીએ કર્યો છે. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભગવાનભાઇ રબારી, એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી, બોર્ડ ઓફ ડિરેક્ટર ઓ અને મધુમાખી પાલકો ઉપસ્થિત રહ્યા હતા.