બનાસકાંઠા: લોકડાઉન થતાંની સાથે જ તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે છેલ્લા દોઢ મહિનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ધંધા બંધ થઈ જતાં હાલત કફોડી બની ગઈ છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી, અંતરિયાળ અને વનવાસી વિસ્તારમાં રહેતા લોકોને મદદ મળી રહે તે માટે RSS દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં RSSના કાર્યકરો દ્વારા આવા સ્લમ વિસ્તારમાં સર્વે કરી ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ દાતાઓ પાસેથી દાન મેળવીને યાદી મુજબ 1700 ગરીબ લોકોને અનાજની કીટ આપવામાં આવી હતી.
જે લોકો રોજ કમાઇને રોજ ખાતા હતા તેવા લોકોની હાલત ગંભીર બનતા RSS દ્વારા આવા લોકોને 15 દિવસ થઇ શકે તેવી અનાજની કીટ અર્પણ કરી સહાય કરવામાં આવી છે.