પાલનપુર: ચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી ગંભીર સ્થિતિમાં દેશના અનેક વિદ્યાર્થીઓ, નાગરિકો ફસાયા છે, ત્યારે બનાસકાંઠાના પણ 19 વિદ્યાર્થીઓ પણ ચાઈનામાં ફસાયા છે. જેમના પર કોરાના વાયરસની અસર જોવા મળે છે. જેથી તેમના પરિવારની ચિંતામાં વધારો થયો છે. ચીનમાં અભ્યાસ કરવા ગયેલા બનાસકાંઠાના વિદ્યાર્થીઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મુખ્ય પ્રધાનની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, જ્યાં ચાઇનામાં અભ્યાસ કરનારા બનાસકાંઠા જિલ્લાના યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ 02742- 250627 નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સલામત છે. ચાઈનામાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં બનાસકાંઠાના વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ચાઇનામાં કોરોના વાઈરસના કહેરને લઈને ભારતના વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના પણ 19 વિદ્યાર્થીઓ ચાઇનાથી પોતાના વતન પરત આવશે. 31મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વિદ્યાર્થીઓ બનાસકાંઠા આવશે.
જો કે, કોરોના વાઇરસને લઈને બનાસકાંઠા આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી દીધી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ આઈશોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ ઈમરજન્સી વોર્ડમાં તમામ આદ્યુનિક ટેકનોલોજી સાથે ડૉક્ટર અને નર્સ પણ ખડેપગે રહેશે. જે પ્રકારે આ વાયરલ એક ચેપી છે, ત્યારે આ ચેપી વાઇરસની અસરને નાથવા માટે ખાસ પ્રકારની તૈયારીઓ પણ કરાઈ છે.
આ 19 વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે અને આ વાઇરસ વધુ ન ફેલાય તેની તકેદારી પણ લેવાશે. આ સાથે જ લોકોને પણ અપીલ કરાઈ છે કે, આ એક સ્વાઇન ફ્લૂ જેવો વાયરસ છે. જેથી તકેદારી રાખી અને ડૉક્ટરની સલાહ લેવાની પણ સૂચના અપાઇ છે.