- પાલનપુર નગરપાલિકા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે
- બે મહિના પહેલા વિકાસ નકશો મંજુર કરાયો હતો
- શહેરીજનોને વાંધા સૂચનો મોકલવા નકશો પાલિકાના જાહેર નોટિસબોર્ડ પર લગાવ્યો હતો
- બે મહિનામાં 80થી વધુ વાંધા અરજીઓ આવી
બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકા અને વિવાદ બન્ને એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. પાલિકાની કોઈ જ કામગીરી નિર્વિવાદ પૂર્ણ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. ત્યારે બે મહિના પહેલાં પાલિકાએ શહેરીજનોને વધુ સુવિધાઓ આપવા વિકાસ નકશો રજૂ કર્યો હતો. જે પાલિકા સત્તાધીશોએ બહુમતીના જોરે મંજુર કર્યો હતો અને શહેરીજનોને નકશામાં કોઈ જ બાબત વાંધાજનક લાગે તો 60 દિવસની મર્યાદામાં અરજી કરવા જણાવ્યું હતું, જે હેઠળ અત્યાર સુધી 80 જેટલી વાંધાઅરજીઓ આવી ચૂકી છે. પરંતુ પાલિકા દ્વારા આ તમામ વાંધાઓ બાબતે કોઈ જ યોગ્ય જવાબ નહિ મળતો હોવાનું શહેરીજનો જણાવી રહ્યાં છે.
નકશામાં ગણેશપુરા વિસ્તારમાં ડીપી રોડનું સૂચન બિનજરૂરી- સ્થાનિક ખેડૂતો
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં ડીપી રોડ બનાવવાનું સૂચન વિકાસ નકશામાં કરાયું છે. જેના લીધે આ વિસ્તારના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અહીં ડીપી રોડની કોઈ જ જરૂર નહીં હોઇ માત્ર બિલ્ડર લોબીને લાભ પહોંચાડવા ડીપી રોડનો ઉલ્લેખ નકશામાં કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ગણેશપુરાના ખેડૂતોએ મંગળવારે પાલિકા કચેરીએ આવી હંગામો મચાવ્યો હતો, તેમજ આવેદનપત્ર આપી ડીપી રોડ નામંજૂર કરવા રજુઆત કરી હતી.