બનાસકાંઠાઃ જિલ્લામાં અનેક પૌરાણિક મહાદેવજીના મંદિરો આવેલા છે. ખાસ કરીને જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેક પવિત્ર સ્થળો પર પાંડવો દ્વારા ભગવાન શિવના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને બનાસ નદીના કિનારે અનેક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
આ પાંડવ કાલીન મંદિર શ્રાવણ માસમા વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો અહીં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે આવે છે. સમગ્ર ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં ચરણોમા શીશ નમાવી ધન્યતા અનુભવે છે.
બનાસકાંઠામાં વિશ્વેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, બાલારામ મહાદેવ, બાજોઠિયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવના મંદિર આવેલા છે. કહેવાય છે કે, શ્રાવણ માસમાં આ 5 મહાદેવના દર્શન કરવાથી ભક્તોનો બેડો પાર થઈ જાય છે. પાંડવો અહીં જંગલોમાં મહાદેવની ભક્તિ કરતા હતા. લોક માન્યતા મુજબ વનવાસ દરમિયાન પાંડવોએ આ વિસ્તારમાં બાજોઠ પર મહાદેવની સ્થાપના કરી હતી. જેથી આ મંદિર બાજોઠિયા મહાદેવના નામ તરીકે ઓળખાય છે.
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન બાજોઠિયા મહાદેવ સોળે કળાએ કુદરત જોવા મળે છે. આ વિસ્તારની આજુબાજુ પહાડી વિસ્તારમાં વાદળો જાણે સાક્ષાત ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બાજુમાં ખળખળ વહેતી નદીના કારણે અહીંનું વાતાવરણ રમણીય બની જાય છે. જેના કારણે વર્ષો પહેલા પાંડવોએ સુંદર વાતાવરણ અને ખળખળ વહેતી નદીના કિનારે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવા માટે આ સ્થળ નક્કી કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના અરવલ્લીની ગિરિમાળાઓમાં બાજોઠિયા ખાતે વસેલા મહાદેવજીના મંદિરે દર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા માટે ભક્તિ અને શક્તિ સાથે આ મંદિરે પૂજા અર્ચના કરે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ મંદિરને સમય વિતતા ત્યાં એક નાના મંદિરમાંથી મોટું મંદિર બનાવ્યું અને આજુબાજુના લોકોની આસ્થા વધતી ગઈ. ધીરે ધીરે મંદિરે ભગવાન ભોળાનાથના ભક્તો આવવા લાગ્યા અને તેમાંથી આજે બાજોઠિયા મહાદેવ ધામ તરીકે ઉભરી આવ્યું છે.
શ્રદ્ધાળુઓ શ્રાવણ માસના દર સોમવારે બાજોઠિયા મહાદેવના દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. બીજી તરફ બાજોઠિયા મહાદેવની આજુબાજુ કુદરતી સૌંદર્ય ભરપૂર હોવાના કારણે ભગવાન ભોલેનાથના ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા તેમજ આ કુદરતી વાતાવરણનો લાભ લેવા અવશ્ય આવે છે.
પાલનપુર નજીક આવેલું પાંડવ કાળ સમયનું બાજોઠિયા મહાદેવ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અને કુદરતના ખોળે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરી કારણે બાજોઠિયા મહાદેવનું મંદિરનું આજદિન સુધી ધાર્મિક સ્થળની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું નથી.